શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય?
શ્રીસર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ‘ગાયત્રી’ કહેવામાં આવે છે. જેમ બ્રાહ્મણ જનોઈની દીક્ષા લીધા પછી, દરરોજ ગાયત્રીમંત્ર ન જપે, તો તેનું બ્રાહ્મણત્વ ટકતું નથી., તેમ વૈષ્ણવોએ હમેશાં નિયમપૂર્વક શ્રીસર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા જોઈએ.
મંત્રને તેના ઋષિ, છંદ, દેવતા, બીજ અને ફળ હોય છે. શ્રીગુસાંઈજીના જણાવ્યા પ્રમાણે શ્રીસર્વોત્તમ સ્તોત્રના ઋષિ અગ્નિકુમાર શ્રીગુસાંઈજી છે. છંદ જગતિ છે. દેવતા શ્રીકૃષ્ણમુખસ્વરૂપ શ્રીમહાપ્રભુજી છે. બીજ કારુણિક પ્રભુ છે અને ફળ કૃષ્ણાધરામૃતનો આસ્વાદ છે.
સ્તોત્રના અંતે શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક દરરોજ તેનો પાઠ કરવો. શ્રદ્ધા = શ્રત્ + ધા. શ્રત્ એટલે સત્ય. ધા એટલે ધારણ કરવું. શ્રીપ્રભુ અને શ્રીમહાપ્રભુજી સત્ય છે. તેમની વાણી સત્ય છે. તેમને વિશ્વાસપૂર્વક સ્વીકારવા તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી દૃઢ થાય છે. સત્ય-અસત્ય, શ્રેય-પ્રેયને અલગ તારવી, સત્ય અને શ્રેયને સ્વીકારે તે વિશુદ્ધ બુદ્ધિ. આ સ્તોત્રમાં વર્ણવાયેલાં ૧૦૮ અલૌકિક નામરૂપોથી ભગવદ્ સ્વરૂપ શ્રીમહાપ્રભુજી બિરાજે છે, તેવી દૃઢ શ્રદ્ધા રાખી, તેમની આ સ્તોત્રના પાઠ દ્વારા નિઃસ્વાર્થ પ્રેમબુદ્ધિથી સ્તુતિ-સ્મરણ કરવાં. કોઈ લૌકિક હેતુ માટે તેના પાઠ ન કરવા.
આ સ્તોત્રના અંતે શ્રીગુસાંઈજી બે આજ્ઞા કરે છેઃ ‘પઠત્યનુદિનં જનઃ’ અને ‘જપ્યં કૃષ્ણરસાર્થીભિઃ’ શ્રીસર્વોત્તમ સ્તોત્ર પરની ટીકામાં શ્રીગુસાંઈજીના ચતુર્થકુમાર શ્રીગોકુલનાથજીએ સ્પષ્ટતા કરતાં એવી આજ્ઞા કરી છે કે જ્યાં સુધી આ સ્તોત્ર બરોબર મોઢે ન થાય, ત્યાં સુધી ગ્રંથ સામે રાખી તેનો મોટેથી પાઠ કરવો. સ્તોત્ર તરીકે પાઠ અને મંત્ર તરીકે જપ કરવાનું વિધાન છે.
શ્રીમહાપ્રભુજીએ ‘સુબોધિની’માં જણાવ્યા પ્રમાણે પાઠ કરવો એ મર્યાદા રીત છે, જપ કરવો એ પુષ્ટિ રીત છે. મર્યાદા રીત પ્રમાણે પાઠ કરતાં પાઠની સંખ્યાની મર્યાદા નક્કી કરીએ છીએ, જેમ કે ૩૫ પાઠ કરવા. જપ મનમાં સતત ચાલ્યા કરે, તેથી તેની સંખ્યા નક્કી થતી નથી. માટે તે પુષ્ટિ રીત છે. પાઠમાં નિયમ છે. જપમાં પ્રેમ છે. પ્રેમ વિના નિયમથી પાઠ કરવાથી, મન અને શરીર પાઠ કરતાં થાક અને કંટાળો અનુભવે છે. પ્રેમપૂર્વક જપ કરતાં પ્રસન્નતા અનુભવાય છે.
thnks for details.
Jay Shri krishna,
Very useful detail..!