શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી

(રસાસ્વાદઃ શ્રી રમેશભાઈ પરીખ, મહેસાણા)

શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી,
હૃદય-પુલિન અંતઃ બંસીબટ;
રોમ કદંબ કી છાઁહી. (૧)

અનન્યતા અંબર, ભાવ-ભૂષણ,
વિપ્રયોગ કી ગલબાંહી;
સર્વાત્મ કી શિશ બેની સોહે,
પ્રતિબિંબિત દીનતા દર્પણ માંહી. (૨)

મત્તમયૂર નાચે મન મધુર,
દેખી રૂપ ભર્યો ઠાંહી;
લે ચલ સખીરી વે વૃંદાવન,
શ્રીવલ્લભચરણ સરોવર જાઁહી. (૩)

         “વલ્લભ” એટલે વહાલા. “શ્રી”ના તો અનેક અર્થ. શ્રીસ્વામિનીજી, વ્રજભક્તો, શ્રીઠાકોરજી – એ સૌના વહાલા તે શ્રીવલ્લભ. તેથી શ્રીછીતસ્વામીજીએ ગાયું-

“ગોવલ્લભ, શ્રીગોવર્ધન-વલ્લભ, શ્રીવલ્લભ ગુન ગિને ન જાઈ.”

આવા શ્રીવલ્લભને વ્રજવાસ પ્રિય છે. “પ્રિયવ્રજસ્થિતિઃ”. તેમાંય શ્રીગિરિગોવર્ધન વિશેષ પ્રિય છે. “ગોવર્ધનસ્થિત્યુત્સાહસ્તલીલાપ્રેમપૂરિતઃ” ત્યાં વૃંદાવનવાસ તો સૌથી વધુ પ્રિય છે. “વૃંદાવનપ્રિયઃ” કારણ કે ત્યાં જ અખંડ રાસની “નિત્ય નૌતન નિત્ય લીલા” છે. શ્રીસ્વામિની-સ્વરૂપે આપ તે લીલામાં વિહરે છે અને આચાર્યસ્વરૂપે આપનું અંતઃકરણ તે લીલામાં વિલસે છે.

શ્રીવલ્લભના આવા દિવ્ય સ્વરૂપનો અનુભવ જે બડભાગી ભક્તોને થયો, તેમણે ભાવવિભોર બનીને ગાયું- “શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી.” શ્રીવલ્લભ રાસમંડલમાં શોભી રહ્યા છે.

પુષ્ટિજીવોનો મોક્ષ-ઉદ્ધાર એટલે પ્રભુની અલૌકિક રાસલીલાની પ્રાપ્તિ. “આપ સેવા કરી શીખવે શ્રીહરિ.” એ રીતે “આચરતિ આચરયતિ ચ ઇતિ આચાર્યઃ”. જે આચરણ દ્વારા ઉપદેશ આપે તે આચાર્ય. આચરણ અને ઉપદેશ એક જ હોય તે આચાર્ય. શ્રીવલ્લભ આવા “આચાર્ય” છે; તેથી આપે પોતાના આચરણ દ્વારા આપણને – પુષ્ટિજીવોને અલૌકિક રાસમંડલની પ્રાપ્તિના દિવ્ય માર્ગનો ઉપદેશ આપ્યો છે.

“હૃદયપુલિન” – આપનું હૃદય પુલિન એટલે યમુનાતટ છે. “અંતઃ બંસીબટ” – અંતઃકરણ બંસીબટ છે. “રોમ કદંબ કી છાઁહી” – આપના રોમ રોમ કદંબની વૃક્ષાવલી છે. આપનું બાહ્ય અને ભીતર શ્રીઅંગ પ્રભુ પ્રેમથી ભર્યું ભર્યું, શ્યામના સુખ માટે શ્યામને સમર્પિત છે.

“અનન્યતા અંબર” – આપે દૃઢ અનન્યતા રૂપી વસ્ત્ર ધર્યાં છે. વસ્ત્રથી શરીરની મર્યાદા સચવાય, તેમ અનન્યતાથી ભક્તિ સચવાય. “ભાવ-ભૂષણ” – ભગવદ્ ભાવરૂપી આભૂષણથી આપ શોભે છે. “વિપ્રયોગ કી ગલબાઁહી” – આપે વિપ્રોગને આલિંગન આપ્યું છે, અર્થાત્ સદા પ્રભુના વિપ્રયોગમાં આપ ડૂબેલા રહે છે. “સર્વાત્મ કી શીશ બેની સોહે” – સર્વાત્મભાવ – ભક્તિની સર્વોપરિ વ્યસન-અવસ્થા, તે જાણે આપના મસ્તકની કેશ રાશિ છે. પ્રભુમાં આપનો પૂર્ણ નિરોધ છે. “પ્રતિબિંબિત દીનતા દર્પણ માંહી” – આપની દીનતા આપના જીવનરૂપી દર્પણમાં પ્રતિબિંબિત થાય છે.

આ સર્વને લઈને આપનો મનમયૂર પ્રભુમાં રસમસ્ત બની નાચે છે. મધુરાધિપતિના અંગ અંગમાં ઠાંસી ઠાંસીને ભરેલા રૂપને નીરખી એ મનમયૂર નૃત્ય કરે છે.

હે સખી, જ્યાં આવા આપણા અલૌકિક આચાર્યચરણનાં ચરણારવિંદરૂપી ચંદ્રસરોવર બિરાજે છે, ત્યાં તું મને લઈ જા. આપની કૃપાથી આપની આજ્ઞાના પાલનથી-આપણને પુષ્ટિમોક્ષ (રાસલીલાની દિવ્ય પ્રાપ્તિ) મળશે.

હિંડોળાનું પદ – હિંડોરે માઈ ઝૂલત ગિરિધરલાલ

હિંડોળાનું પદ

(રાગ-મલ્હાર)

હિંડોરે માઈ ઝૂલત ગિરિધરલાલ ।

સંગ ઝૂલત વૃષભાન નંદિની, બોલત બચન રસાલ ।।૧।।

પિય સિર પાગ કસુંબી સોભિત, તિલક બિરાજત ભાલ ।

પ્યારી પહેરે કસુંબી ચોલી, ચંચલ નયન બિસાલ ।।૨।।

તાલ મૃદંગ બાજે બહુ બાજત, આનંદ ઉર ન સમાત ।

શ્રીવલ્લભ પદ રજ પ્રતાપ તેં, નિરખ ‘રસિક’ બલ જાત ।।૩।।

જન્માષ્ટમીની વધાઈ – સબ મિલિ મંગલ ગાવો માઈ

જન્માષ્ટમીની વધાઈ

(રાગ-ધનાશ્રી)

સબ મિલિ મંગલ ગાવો માઈ ।

આજ લાલકો જન્મ દ્યોસ હૈ, બાજત રંગ વધાઈ ।।૧।।

આંગન લીપો ચોક પુરાવો, વિપ્ર પઢન લાગે વેદ ।

કરો સિંગાર શ્યામ સુંદર કો, ચોવા ચંદન મેદ ।।૨।।

આનંદ ભરી નંદજૂકી રાની ફૂલી અંગ ન સમાઈ ।

‘પરમાનંદદાસ’ તિહીં ઔસર બોહોત ન્યોછાવરિ પાઈ ।।૩।।

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૮)

મધુર અંગ આભૂષન ભૂષિત, મધુર ઉર સ્થલ રૂપ સમાજ ।
અતિ વિસાલ જાનુ અવલંબિત, મધુર બાહુ પરિરંભન કાજ ॥૫॥
મધુર ઉદર, કટિ મધુર, જાનુ યુગ મધુર, ચરનગતિ સબ સુખ રાસ ।
મધુર ચરન કી રેનુ નિરંતર, જનમ જનમ માંગત ‘હરિદાસ’ ॥૬॥

હવે પાંચમી અને છઠ્ઠી કડીમાં શ્રીવલ્લભના શેષ શ્રીઅંગની માધુરી શ્રીહરિરાયજી વર્ણવે છે.

‘મધુર અંગ આભૂષણ ભૂષિત’– શ્રીવલ્લભનું શ્રીઅંગ ત્રણ પ્રકારનાં આભૂષણોથી મધુર છે. (૧) શાસ્ત્રોમાં બતાવેલાં આભૂષણો, જેમકે કર્ણનું આભૂષણ જ્ઞાન છે. કંઠનું આભૂષણ સત્ય છે. હાથનું આભૂષણ દાન છે. શ્રીવલ્લભ જ્ઞાન, સત્ય અને દાનરૂપી આભૂષણોથી મધુર લાગે છે. (૨) શ્રીભાગવતની સર્વ પદાવલિઓ આપના શ્રીઅંગને આભૂષિત કરે છે. આપના કંઠમાં આ પદાવલિઓ હારાવલિ રૂપે બિરાજે છે. કર્ણમાં કુંડળ રૂપે, હસ્તમાં કંકણ અને બાજુબંધ રૂપે, તથા મસ્તકે મુકુટરૂપે જાણે બિરાજે છે. (૩) શ્રીવૃંદાવન નવનિકુંજની રસમય લીલાલહેરીઓથી આપ આભૂષિત છે. તેને લઈને આપનું રોમ-રોમ મધુર છે.

‘મધુર ઉરસ્થલ રૂપ સમાજ’ શ્રીમહાપ્રભુજીએ સ્વયં પોતાના હૃદયની અલૌકિકતા ‘નમામિ હૃદયે શેષે…’ શ્ર્લોકમાં બતાવી છે. પ્રભુનો લીલારસ મહાક્ષીરસાગર છે. જેમ ક્ષીરસાગરમાં શેષનાગ રૂપી શય્યા પર ભગવાન નારાયણ પોઢેલા છે અને લક્ષ્મીજી તેમની ચરણસેવા કરે છે; તેમ શ્રીવલ્લભના હૃદયમાં શ્રીપૂર્ણ પુરુષોત્તમ કલાનિધાન બિરાજમાન છે અને હજારો લક્ષ્મીરૂપા ગોપીજનો તેમની સેવા કરી રહ્યાં છે. આવું અલૌકિક શ્રીવલ્લભનું હૃદય છે. એનો અનુભવ શ્રીહરિરાયજીને થયો છે. આજ્ઞા કરે છે કે આપનું ઉરસ્થલ – હૃદય વ્રજલીલાપરિકરના રૂપકડા સમાજથી મધુર-મધુર છે.

બીજી રીતે પણ આ પંક્તિનો ભાવ વિચારવા જેવો છે. શ્રીઠાકોરજીના સંયોગસ્વરૂપનાં દર્શન નેત્રોથી થયા પછી, એ સ્વરૂપ માટે જ્યારે અંત:કરણમાં વિરહ વધે, ત્યારે વિપ્રયોગ ધર્મ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપે અંત:કરણમાં અનુભવ થાય છે. વિપ્રયોગધર્મી સ્વરૂપે એક જ સમયે અનેક લીલાઓનો અનુભવ એક સાથે થાય છે. આ જ પુષ્ટિમાર્ગનો પરમ મોક્ષ છે. ફળ છે. ‘આંતરં તુ પરં ફલમ્.’

શ્રીપરમાનંદદાસજીએ શ્રીવલ્લભની સન્મુખ ‘હરિ તેરી લીલા કી સુધિ આવે’ પદ ગાયું, ત્યારે શ્રીવલ્લભ આ અનુભવમાં ત્રણ દિવસ-રાત મૂર્ચ્છિત રહ્યા હતા. આવો ઉરપ્રદેશ શ્રીવલ્લભનો છે.

‘અતિ વિસાલ જાનુ અવલંબિત’– જાનુ એટલે નિતંબ. આપ સુકોમળ હોવા છતાં આપના નિતંબ અતિ પુષ્ટ છે. પુષ્ટ નિતંબ સ્ત્રીસૌંદર્યનું એક અંગ છે. એક લક્ષણથી સમગ્ર સ્વરૂપની શોભા કહેવાની કાવ્યની એક વિશેષતા હોય છે. એ મુજબ પુષ્ટ નિતંબના સૌંદર્ય લક્ષણથી એમ સૂચવ્યું કે આપના શ્રીઅંગમાં શ્રીસ્વામિનીજીનાં સ્વરૂપનું માર્દવ અને લાલિત્ય પણ છે.

શ્રીવલ્લભ ‘પ્રિયવ્રજસ્થિતિ:’ છે. વ્રજમાં બિરાજવું આપને વિશેષ પ્રિય છે. વ્રજમાં પ્રભુની લીલા નિત્ય બિરાજમાન છે. શ્રીવલ્લભની ગોદમાં શ્રીજીબાવા વારંવાર બિરાજે છે. શ્રીમથુરાનાથજી કર્ણાવલમાં પ્રગટ થયા, પછી શ્રીમહાપ્રભુજીની ગોદમાં બિરાજ્યા હતા. પુષ્ટ નિતંબોવાળી ગોદ પ્રભુને બિરાજવા માટે સુખદ બને છે. પ્રભુની સ્વરૂપમાધુરીના આસ્વાદથી આપના નિતંબો પુષ્ટ બન્યા છે.

‘મધુર બાહુ પરિરંભન કાજ’ – પરિરંભન એટલે આલિંગન, શ્રીવલ્લભ આજાનબાહુ છે. સીધા ઊભા રહેતાં, હાથ ઢીંચણથી નીચે અડકે, તેટલા લાંબા હાથવાળી વ્યક્તિ આજાનબાહુ કહેવાય. શ્રીવલ્લભના બાહુ આવા અતિ દીર્ધ છે. શ્રીનાથજીના પ્રથમ મિલન સમયે આ બાહુઓના પાશમાં જ શ્રીજી બંધાઈ ગયા હતા. શ્રીઠાકોરજીને આલિંગતા આ બાહુ મધુર હોય જ!

હવે શ્રી હરિરાયજી છેલ્લી કડીમાં અન્ય સર્વ અંગોની મધુરતાનું ફરીથી નિરૂપણ કરે છે. ‘મધુર ઉદર, કટિ મધુર, જાનુયુગ મધુર, ચરનગતિ સબ સુખ રાસ.’ – આપના ઉત્તરીય વસ્ત્ર – ઉપરણા – ના સરકવાથી ક્યારેક આપના ઉદરપ્રદેશનાં દર્શન થાય છે. મધુર લીલારસના સતત પાનથી તે મધુર છે. આપની કટિ પણ નમણી અને મધુર છે. જાનુયુગ એટલે બંને નિતંબ. એ પણ મધુર છે.

આપના ચરણારવિંદની ચાલ તો સર્વ સુખોના સમૂહ જેવી અતિ લચકીલી, ગજગતિવાળી છે.

‘મધુર ચરનકી રેનુ નિરંતર’ – આપનાં ચરણારવિંદ અને એની ચરણરજનો મહિમા તો અપરંપાર છે. જેમ ભગવાનનાં બે ચરણોમાં પુષ્ટિ ભક્તિ અને મર્યાદાભક્તિ બિરાજમાન છે, તેમ શ્રીવલ્લભનાં બે ચરણોમાં પુષ્ટિ શરણાગતિ અને પુષ્ટિસમર્પણભાવના સદૈવ બિરાજમાન છે. ભગવાનના શ્રીઅંગનો દિવ્ય આનંદરસ આપનાં ચરણોમાં અકત્ર થતાં, ભક્તો એની પ્રાપ્તિ માટે, ભગવાનનાં બે ચરણકમળોનો દ્રઢ આશ્રય કરી કહે છે, તેમ પુષ્ટિભક્તો શ્રીવલ્લભનાં બે ચરણકમળોનો દ્રઢાશ્રય કરી, વલ્લભાશ્રિત બનીને રહે છે. ભગવાનનાં ચરણકમળોની જેમ શ્રીવલ્લભનાં ચરણકમળો પણ જેના મસ્તકે બિરાજે તેને નિરંતર અભય આપે છે.

વળી શ્રી દામોદરદાસ હરસાનીજી જેવા ઘણા ભગવદીયોયે શ્રીવલ્લભનાં પાદુકાજી સ્વરૂપે શ્રીવલ્લભનાં ચરણ સેવ્યાં છે. ઘણાં ભગવદીયોયે વસ્ત્ર પર શ્રીવલ્લભનાં ચરણની કુમકુમ મંડિત છાપની સેવા કરી છે.

શ્રીવલ્લભનાં અલૌકિક ચરણકમળોના સ્પર્શથી ધરતીની રજ પણ ધન્ય બની છે. જેમ શ્રીરામના ચરણસ્પર્શે જડ શિલા જીવતી અહલ્યા બની ગઈ, તેમ શ્રીવલ્લભચરણસ્પર્શે ધરતીની જડ રજ પણ અલૌકિક રૂપા બની ગઈ. અધમોનો ઉદ્ધાર આ ચરણરજથી જ થઈ ગયો. જે જે સ્થાનોમાં શ્રીવલ્લભ સ્વયં જીવોના ઉદ્ધાર માટે પધારી ન શક્યા ત્યાં આપની ચરણરજ ઊડતી ઊડતી પહોંચી ગઈ. ત્યાં જે જીવોને આ ચરણરજનો સ્પર્શ થયો તે સર્વ જીવોનો મોક્ષ થઈ ગયો. ‘તે તામસનાં અઘ હર્યાં વ્હાલે, પ્રતાપ પદરજ ગંધ.’

શ્રીમહાપ્રભુજીનાં જ્યેષ્ઠકુમાર શ્રીગોપીનાથજીએ ‘સાધનદીપિકા’ ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણમાં આ ચરણરજનો  મહિમા ગાતાં આજ્ઞા કરી કે જેમ દુનિયાના લોકો સ્વર્ગના કલ્પવૃક્ષની અભિલાષા સેવે છે, તેમ અમારા માટે પિતૃચરણનાં ચરણકમળોની રજ કામધેનુ સમાન છે.

શ્રીગુસાંઈજીએ આજ્ઞા કરી કે શ્રીવલ્લભની આ ચરણરજ આપણી સર્વ ચિંતાઓનો નાશ કરનારી છે.

શ્રીવલ્લભના ચરણસ્પર્શ દ્વારા આ દિવ્ય ચરણરજ પ્રાપ્ત થાય. આથી શ્રીહરિરાયજી છેલ્લે આજ્ઞા કરે છે કે ‘જનમ જનમ માગત હરિદાસ.’ શ્રી હરિરાયજી જન્મોજન્મ આ ચરણરજ માગે છે.

‘વહ્મિધૂમન્યાય’ પ્રમાણે જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય. તેથી જ્યાં ધૂમાડો દેખાય ત્યાં અગ્નિ અવશ્ય હોય. જ્યાં શ્રીવલ્લભની ચરણરજ બિરાજે, જ્યાં ચરણકમલ બિરાજે, ત્યાં શ્રીવલ્લભ પણ બિરાજતા જ હોય. આથી આપની ચરણરજ પ્રાપ્ત થાય ત્યારે આપ પોતે પણ અવશ્ય પ્રાપ્ત થાય જ.

શ્રીવલ્લભસ્વરૂપ ન માગતાં શ્રીવલ્લભ ચરણરજ માગીને શ્રીહરિરાયજીએ દીનતા અને નિ:સાધનતાનાં દર્શન કરાવ્યાં છે.

આ પદની છ કડીઓ શ્રીવલ્લભના અલૌકિક છ ધર્મોનો બોધ કરાવે છે. પહેલી કડીમાં શ્રીવલ્લભને ‘જીવનધન’ કહ્યા. તે શ્રીવલ્લભનું ‘ઐશ્ર્વર્ય’ સ્વરૂપ છે. બીજી કડીમાં શ્રીવલ્લભનાં વદનારવિંદની મધુરતા વર્ણવી છે. શ્રીવલ્લભનું ‘શ્રી’ સ્વરૂપ છે. ત્રીજી કડીમાં શ્રીવલ્લભનાં અધરરસનું નિરૂપણ કર્યું. તે આપનું ‘યશ’ સ્વરૂપ છે. ચોથી કડીમાં આપનાં ગુણો વર્ણવ્યા. તે ‘વીર્ય’ સ્વરૂપ છે. પાંચમી કડીમાં આપના અલૌકિક દેહનું વર્ણન કર્યું. તે જ્ઞાન સ્વરૂપ છે. છઠ્ઠી કડીમાં આપની ચરણરજ માંગી. તેમાં આપનું ‘વૈરાગ્ય’ સ્વરૂપ છે.

આમ આ પદમાં છ કડીઓમાં શ્રીવલ્લભના ષડધર્મોનું નિરૂપણ કરતાં તે દ્વારા આપના ‘મધુરાકૃતિ’ ધર્મી સ્વરૂપનું નિરૂપણ કર્યું. આવા શ્રીવલ્લભની મધુરતાને માણવા આપણે ક્યારે ભાગ્યશાળી થઈશું?

(સંપૂર્ણ)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૭)

મધુર કટાક્ષ કૃપારસપૂરન, મધુર મનોહર બચન બિલાસ ।

મધુર ઉગાર દેત દાસનકો, મધુર બિરાજત મુખ મૃદુ હાસ ।।૪।।

હવે આ ચોથી કડીમાં શ્રીવલ્લભના મધુર મુખારવિંદની ચાર મધુર લીલાઓ વર્ણવે છે.

૧. ‘મધુર કટાક્ષ કૃપારસપૂરન.’ આપ નેત્રોથી ભક્તો પ્રત્યે મધુર, પૂર્ણ કૃપારસકટાક્ષ કરી રહ્યાં છે. કૃપારસનું સીંચન કરવું એ આપનો મુખ્ય ગુણ છે – સ્વભાવ છે. કેવળ દ્રષ્ટિ દ્વારા અધમમાં અધમ અનાથ જીવને આપ સનાથ કરે છે. આપ કૃપાશક્તિનું સ્વરૂપ છે. પ્રભુની સર્વ શક્તિઓમાં કૃપાશક્તિ શિરોમણિ છે. અન્ય માર્ગોથી પુષ્ટિજીવોનો ઉદ્ધાર શક્ય ન હોવાથી કૃપાશક્તિ શ્રીવલ્લભે કૃપામાર્ગ –પુષ્ટિમાર્ગ પ્રકટ કર્યો. આ મધુર સ્વરૂપની કૃપા ય મધુર છે. એ કૃપાનો માર્ગ પણ મધુર છે.

૨. ‘મનોહર બચન બિલાસ’ આપની વાકશક્તિ એ આપનો બીજો અલૌકિક ગુણ છે. માયાવાદીઓને ‘દાહે વચનાનલ’- વચનરૂપી અગ્નિથી બાળે છે. એ જ વચનો ‘સીંચે વચનસુધારસ.’ ભક્તોનાં દુ:ખી હૃદયોને વચનસુધાથી હરિયાળાં બનાવે છે. ‘શ્રીયમુનાષ્ટક’ (પ્રથમ કૃતિ) થી લઈને ‘શિક્ષાશ્ર્લોકા:’ (અંતિમ કૃતિ) સુધીના સર્વ ગ્રંથો સદા અમૃતરસનું પાન કરાવે છે. એ ભગવલ્લીલાનો મનોહર વિલાસ છે.

૩. ‘મધુર ઉગાર દેત દાસનકોં’– આપ પોતાના દાસસેવકોને આપના મુખના ચર્વિત તાંબુલ આદિ અધરામૃતનું દાન કરે છે. આ આપનો ત્રીજો ગુણ છે. પતિના ઉચ્છિષ્ટનો અધિકાર, કેવળ તેની પત્નીને હોય. શ્રીવલ્લભે આ અધિકાર પોતાના શરણાગત જીવોને આપીને કેટલી કૃપા કરી છે!

જેમ શ્રીઠાકોરજીએ પોતાનું ચર્વિત ગોપીજનોને આપી, તે દ્વારા પોતાનું વિપ્રયોગધર્મીસ્વરૂપ સદાને માટે એમના હૃદયમાં સ્થાપ્યું, તેમ શ્રીમહાપ્રભુજીએ પણ પોતાના ‘મધુર ઉગાર’ દ્વારા નિજજનોને વિપ્રયોગ ધર્મીસ્વરૂપનું દાન કર્યું છે. અલભ્યને સુલભ કરી દેવાનો શ્રીવલ્લભનો આ મહદ ગુણ છે.

૪. ‘મધુર બિરાજત મુખ મૃદુ હાસ’ – આપનું મુખકમળ મૃદુ હાસ્ય-સ્મિતથી સદા મધુરું છે. સર્વ સ્થિતિમાં સર્વત્ર ભગવલ્લીલાનાં દર્શન કરી એમનું મુખ મલક્યા કરે છે. મુખનો મલકાટ મધુર છે; કારણ કે નિજાનંદનો નથી; પણ ભગવદ સુખ માટે પ્રસન્ન રહેવું એ આપનો ચોથો ગુણ છે.

આ ચાર ગુણો ચાર સ્વામિનીજીઓના ભવરૂપ છે. જેમકે કૃપાગુણ શ્રીરાધિકાજીનો, વચનગુણ શ્રૃતિરૂપા શ્રીચંદ્રાવલીજીનો, અધરામૃતનો ગુણ ઋષિરૂપા શ્રીકુમારિકાજીનો અને ભગવત સુખ માટે ચિત્તની પ્રસન્નતાનો ગુણ શ્રીયમુનાજીનો છે. શ્રીવલ્લભ આવા સર્વગુણસંપન્ન હોવાથી મધુર છે.

(ક્રમશઃ)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૬)

અધર મઘુર રસ રૂપ મધુર, છબિ મધુર દોઉ લલિત કપોલ ।
મધુર શ્રવન કુંડલનકી ઝલકન, મધુર મકર માનૌં કરત કલોલ ।।૩।।

અતિમધુર નાસિકાની  નીચે છે ‘અધર મધુર, રસરૂપ મધુર’. જેને ધારણ કરી શકાય નહી, સંઘરી શકાય નહી, તે અધર. આ અધર પર સદા બિરાજમાન છે ભગવદ્ ભોગ્યા સુધા. આ અધરોની મહોદારતા એમાં છે કે અતિ દુર્લભ એવી ભગવદ્ ભોગ્યા સુધાનું પાન પોતે એકલા કરતા નથી, પણ સૌને કરાવે છે. નિજજનોને પ્રત્યક્ષ રીતે કરાવે છે. તો અન્યને વેણુરવ દ્વારા કરાવે છે. એવા શ્રીવલ્લભનાં મધુર અધર છે. એ અધરો દ્વારા ‘કૃષ્ણાધરામૃતાસ્વાદ-સિદ્ધિરત્ર ન સંશય:’ આથી તો આ અધરોથી ઝરતા સુધારૂપ શબ્દોનું પાન કરવા, ભક્તો સદા લાલાયતિ હોય છે.

એ અધરોનો રસ જ મધુર નથી. એમનું રૂપ-સ્વરૂપ પણ મધુર છે. અધરોની અરુણિમા, બંકિમા, સ્નિગ્ધતા અને કુમાશથી અધરો અતિ સુંદર-મધુર લાગે છે. આવા અધર પરથી ઝરતો સુધારસ ચાખવા ભક્તોરૂપી હડપચીનો હીરલો લાલાયિત હોય છે.

આ અધરો મૌન હોય તો ય એમની ભાષા હોય છે. તે બોલતા હોય છે. પ્રિયતમ પ્રભુના પ્યારમાં ક્યારેક બંધ અધરો મુસ્કુરાય છે. એમનાં દર્શને ક્યારેક અધખીલ્યા કમળ શા ખીલે છે. એમની સાથે માન થતાં એ મરડાય છે. ક્યારેક એ અધરદંશથી સીસકે છે, તો ક્યારેક ઉત્કટ પ્રેમવૃષ્ટિને ઝીલતાં વિસ્ફારિત થાય છે. આવી વિવિધ રસભંગિમાઓનાં દર્શને જ શ્રીહરિરાયજીએ ગાયું છે : ‘અધર મધુર રસ રૂપ મધુર.’ આ અધરોનો રસ અને રૂપ બેઉ મધુર છે.

‘છબિ મધુર દોઉ લલિત કપોલ.’ કપોલ એટલે ગાલ. તેમની છબિ પણ મધુર છે. પાકેલા લાલ-સોનેરી મોટાં બોર જેવાં છે. આપ સ્મિત કરે છે ત્યારે આ કપોલમાં ખંજન પડે છે. ખંજન કપોલની સુંદરતા વધારે છે. કર્ણમાં ઝૂલતાં કુંડલનું તેજ કપોલ પર પથરાય છે. નેત્રોમાંથી ક્યારેક પ્રેમનાં હર્ષાશ્રુ ટપકે છે, તો ક્યારેક વિરહાશ્રુ વહે છે. આ બંને અશ્રુરસનો આસ્વાદ કરી આપનાં કપોલ લલિત-મધુર બન્યાં છે.

આ કપોલ સાથે લાગી રહેલાં ‘શ્રવન મધુર’ છે. શ્રવન એટલે કાન. જે કાન દ્વારા હરિયશ સાંભળી ‘હરિ! તેરી લીલાકી સુધિ આવે’ એ કાન ‘કર્ણરસાયન’ એવી હરિકથા સાંભળી કેમ મધુર ન બને? માટે તો કાનને કર્ણપુટ કહ્યાં છે. કર્ણપુટ એટલે કાન રૂપી પાત્ર. શ્રીવલ્લભનાં આ કર્ણપુટ ભગવદ રસથી સદા છલોછલ ભરેલ હોઈ મધુર છે.

‘કુંડલનકી ઝલક મધુર’. કર્ણમાં ધારણ કરેલાં કુંડળોનું તેજ પણ મધુર છે. શ્રીવલ્લભ સોના, મોતી કે હીરાનાં આભૂષણો ધરતા નથી. આપ તો ‘શ્રીભાગવત પ્રતિ પદ મણિવર ભાવાંશુમૂર્તિ:’ છે. શ્રીભાગવતનો પ્રત્યેક શબ્દ ઉત્તમોત્તમ મણિરૂપે આપના શ્રીઅંગ ઉપર શોભી રહ્યો છે. આપનાં કર્ણકુંડલ એટલે શ્રીભાગવતની પદાવલિ, જે મધુર છે.

યોગ અને સાંખ્ય શાસ્ત્રોને પણ ભગવાનના કર્ણનાં કુંડળ કહ્યાં છે. આપ સકલ શાસ્ત્રોના અભ્યાસી, શ્રોતા છે. બહુશ્રુત છે. તેથી શાસ્ત્રો રૂપી કુંડળથી આપના કર્ણ મધુર છે.

‘મધુર મકર દોઉ કરત કલોલ.’ મકર એટલે મગર. મગર હંમેશા પાણીમાં રહેનારો જીવ. પ્રભુ મકરાકૃતિ કુંડલ ધારણ કરી, એમ સૂચવે છે કે મારા લીલારસમાં બૂડેલા ભક્તોનાં વચનો હું મારા કર્ણમાં ધારણ કરું છું. ભક્તોની કાલી-ઘેલી, અશાસ્ત્રીય વાણી પણ શ્રીવલ્લભ હોંશથી શ્રવણ કરી, પ્રસન્ન થાય છે. એવી પ્રેમભરી વાણીથી મકર રૂપી ભક્તો આપના કર્ણ પર બિરાજી કિલ્લોલે છે.

આવું મધુર વદનારવિંદ છે શ્રીવલ્લભનું. આ રૂપ માધુરીનું પાન નિજજનો સદા કરે છે. શ્રીવલ્લભનું નામસ્મરણ-શ્રવણમાં આવતા આ સ્વરૂપનું હૃદયમાં ધ્યાન ધરવું. શ્રીહરિરાયજીએ આ બે કડીઓથી શ્રીવલ્લભના મુખચંદ્રનું દર્શન કરાવ્યું. બે કડીથી દર્શન કરાવવાનો હેતુ એ કે શ્રીવલ્લભમાં યુગલસ્વરૂપ બિરાજમાન છે. શ્રીવલ્લભ સ્વરૂપ યુગલસ્વરૂપના ભાવનું છે. બીજી રીતે વિચારીએ તો આપ સંયોગ અને વિપ્રયોગ ભાવોનું સ્વરૂપ પણ છે. આ સર્વ ભાવો આપના મુખશશિમાં મધુર રીતે ઝળકે છે.

(ક્રમશઃ)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૫)

(લેખાંક : ૫)

મધુર ભાલ અરુ તિલક મધુર,

અતિ મધુર નાસિકા કહી ન જાત.

શ્રીવલ્લભના ‘મધુર ભ્રોંહયુગ’ અને ‘મધુર અલકનકી પાંત’ની વચ્ચે ‘મધુર ભાલ અરુ તિલક મધુર’ શોભે છે. ભાલની મધુરતા એની વિશાળતા અને તેજસ્વીતાથી હોય છે. શ્રીવલ્લભનું લલાટ વિશાળ અને તેજસ્વી છે. ભાલ મગજનું બાહ્ય આવરણ છે. મગજ બુદ્ધિનું સ્થાન છે. શ્રીવલ્લભની જ્ઞાન પ્રતિભા, પ્રકાંડ પાંડિત્ય, શાસ્ત્ર-સજ્જ પ્રજ્ઞા વગેરેને કારણે આપનું ભાલ પ્રતાપી-મધુર છે.

ભાલ પ્રદેશની ભીતર આજ્ઞાકારી નાડીચક્ર છે. તે માણસની ઈન્દ્રિયો ઉપર શાસન કરે છે. તેમ તે બીજી વ્યક્તિઓ ઉપર પણ અનુશાસન કરે છે. શ્રીવલ્લભનું આ નાડીચક્ર એટલું જાગ્રત છે કે, જેના કારણે આપનું સમગ્ર જીવન સાત્વિક, સંયમી, અને સહિષ્ણુ છે. આપની સર્વ ઈન્દ્રિયો સેવા-સ્મરણમાં જ સદા તત્પર છે. આપની ટેક, તપ અને ત્યાગ રમણીય બન્યાં છે. એનાથી આપના સમગ્ર જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની મધુરતા છાયી છે. સાથે સાથે આપ ભક્તોમાં પણ આ વૃત્તિઓ પ્રકટાવે છે. આપ પતિત પાવન છે. આ આપના ભાલની મધુરતા છે.

ભાલ પર ઊર્ધ્વપુંડ્ર તિલક શોભે છે. તે ભગવદ્ ચરણાકૃતિ છે. ભગવાનનાં ચરણ કમલ સમાન છે. તેમાં ભક્તિનો અને ભક્તોનો નિવાસ છે. તેથી એ ચરણો મધુર છે. પોતાનાં ચરણકમલોની મધુરતા માણતા ભક્તોને જોઈને, ભગવાન બાલમુકુન્દને પણ તે ચાખવાનું મન થયું ત્યારે પોતાના મુખકમળમાં ચરણકમળનો અંગુષ્ઠ રાખી, તેની મધુરતા માણી હતી. કમળની જેમ ચરણતલ પણ અરુણ-લાલાશયુક્ત છે. એ અનુરાગનો વર્ણ છે.

ગોપિકાઓએ ‘ગોપીગીત’માં ભગવાનને વિનંતી કરી હતી કે આપના ચરણકમળ અમારા મસ્તકે પધરાવો. ભક્તો એ ચરણકમળ તિલક રૂપે એમના લલાટમાં ધારણ કરે છે. તિલક ભક્તના સૌભાગ્યનું ચિહ્ન છે. મારા માથે મારા અલૌકિક સ્વામી બિરાજે છે. તેથી હું અભયી છું. એવા સૌભાગ્યભાવનું આ તિલક શ્રીવલ્લભના મધુર ભાલ પર અતિ મધુર લાગે છે.

શ્રીવલ્લભ નિત્યલીલામાંથી ભૂતળ ઉપર પધાર્યા, ત્યારે ચારે સ્વામિનીજીઓ સહિત સકલ વ્રજભક્તોએ આપને વિજયતિલક કરેલું. તેથી આપના પ્રાગટ્ય સમયે આપના ભાલ ઉપર કસ્તુરીનું વિજયતિલક પ્રગટ હતું. આપના જન્મદિવસે આપના સેવકો આપને મંગળ તિલક કરી આપનું મંગલ વાંછે છે. વિજયનગરની ધર્મસભામાં આપના વિજય પછી, આપને આચાર્યપદ પ્રદાન કરતું વિજયતિલક થયું હતું. આ સર્વ તિલકો આપના લલાટ પર શોભે છે. તેથી જ ભગવદીયો ગાય છે : ‘તિલકમુદ્રા ધરિ બૈઠે શ્રીલક્ષ્મણભટધામ.’ તિલક ભગવદ્ રાગનું સૂચક છે. ભગવદ રાગ મધુર છે તેથી તિલક પણ મધુર છે.

મધુર તિલકનાં દર્શન કરતાં તિલકની નીચે શોભતી નાસિકા પર દ્રષ્ટિ સ્થિર થાય છે. “અતિ મધુર નાસિકા કહી ન જાત.” આપની સુરેખ, લાંબી, તીક્ષ્ણ નાસિકા અતિ મધુર છે. નાક મુખાકૃતિની શોભા વધારે છે. શ્રીવલ્લભ નાસિકા દ્વારા સદા શ્રીયુગલસ્વરૂપના શ્રીઅંગની સુગંધનું પાન કરનારા છે. શ્રીઅંગની મધુર સુગંધથી ભરી ભરી એ નાસિકા અતિ મધુર છે.

શ્રીયુગલસ્વરૂપ નાસિકામાં ‘વેસર’ ધારણ કરે છે. શ્રીઠાકોરજીની નાસિકાનું વેસર બની, શ્રીસ્વામિનીજી શ્રીઠાકોરજીના અધરામૃતનું પાન કરે છે. શ્રીસ્વામિનીજીની નાસિકાનું વેસર બની, શ્રીઠાકોરજી પણ શ્રીસ્વામિનીજીના અધરામૃતનું પાન કરે છે. આમ અધરામૃતનું પાન કરવા માટે નાસિકા અધિષ્ઠાન છે. એ પાનથી નાસિકા અતિ મધુર બની છે.

આવી મધુર નાસિકાનો ઉચ્છવાસ પણ મધુર સુગંધિત જ હોય. એના અનુભવે શ્રીહરિરાયજીએ કહ્યું કે એ મધુરતાનું વર્ણન થઈ શકે તેમ જ નથી-‘કહી ન જાત.’

(ક્રમશઃ)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૪)

(લેખાંક : ૪)

મધુર બચન ઔર નયન મધુર

ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત

 

અત્યાર સુધીમાં આપણે આ કીર્તનની પહેલી કડીનું રસપાન કર્યું. હવે શરૂ થાય છે બીજી કડી.

પ્રારંભમાં કહે છે : “મધુર બચન”. દર્શન પૂર્વે વચનામૃતનું શ્રવણ થયું છે. શ્રીવલ્લભની વાણી સુ-મઘુર છે. જે વાણીમાં કોમળતા, ઓજસ્વિતા, પ્રસન્નતા અને મીઠાશ હોય તે મધુર વાણી કહેવાય. લૌકિકમાં લતા મંગેશકર જેવાંની વાણીમાં ય આવો અનુભવ થાય છે. ત્યારે શ્રીવલ્લભ તો સાક્ષત્  ભગવાનના મુખારવિંદનું સ્વરૂપ છે. રસાત્મક ભગવાનનું મુખ રસાત્મક અને તે મુખમાંથી પ્રગટ થતી વાણી પણ રસાત્મક! એની મઘુરતાની તોલે બીજી કોઈ વાણી ન આવે! દુનિયાના લોકોની વાણી તો વૈખરી. શ્રીવલ્લભની વાણી તો વેદવાણી!

કેટકેટલા ભક્તોએ એ વાણીનું પાન કર્યું છે! એ વાણીની મધુરતા માણીને ગાયું છે : “બેનુગીત પુનિ યુગલગીત કી રસબરખા બરખાઈ.”

શ્રીહરસાનીજીએ શ્રીવલ્લભ વચન સાંભળ્યાં : ‘દમલા તું આયો?’ એ વચનમાધુરી દમલાજીનું જીવન બની ગઈ. પછી તો એ વાણી વારંવાર વરસતી રહી : ‘દમલા, ભગવદવાર્તા કીયે બડી બેર ભઈ!’

સૂરદાસને ‘દશમસ્કંધ અનુક્રમણિકા’ આપે સંભળાવી. એના ફળરૂપે “સૂરસાગર” ઉમટ્યો. ‘સુન સૂર સબનકી યહ ગતિ, જે હરિ ચરન ભજે ’માં આપે કેટલો વિશ્વાસ ઠાલવી દીધો!

દિનકરદાસ શેઠ તો આપની કથામાં એવા આસક્ત થઈ ગયા હતા કે કાચાં દાળ-બાટી ખાઈ, કથાશ્રવણ માટે દોડ્યા હતા! આવા અનેક પ્રસંગોના અનુભવને શ્રીગુસાંઈજીએ કહ્યું: “વાક્સીધુપૂરિતાશેષસેવક:” વાક્​પતિ છે શ્રીવલ્લભ તો!

‘મધુરાષ્ટક’ની શ્રીવલ્લભની વચનમાધુરીની તોલે બીજા કોઈની વાણી સ્પર્ધા કરી શકે? ‘યમુનાષ્ટક’ની મધુરિમા અન્ય કોઈ યમુના-સ્તવનમાં માણી શકાય? કાશ! આજે આપનાં એ વચનામૃત સાંભળવા મળે તો? એ વાણી શ્રીપદ્મનાભદાસજીને વનમાળીની વેણુની યાદ અપાવતી રહી. એમણે ગાયું: ‘ઐસી બંસી બાજી બનઘનમેં મુનિનકી સમાધિ લાગી.”

શ્રીવલ્લભ સ્વરૂપ ઘનીભૂત રસાત્મક આનંદ સ્વરૂપ છે. તો તેમની વાણી દ્રવીભૂત રસાત્મક આનંદ સ્વરૂપ છે. આપની પરોક્ષ સ્થિતિમાં આપની વાણી જ પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરનારી છે.

શ્રીગુસાંઈજીએ તુલસાંને પૂછેલું : “તને શ્રીમથુરાનાથજી આટલી કૃપા કરી સાનુભવ કેમ કરાવે છે?” જવાબમાં તુલસાંએ કહેલું: “સમય મળે શ્રીમહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરું છું.” આ કૃપાપ્રતાપ શ્રીવલ્લભવાણીના સેવનનો જ!

મુખમાંથી મધુર વચનો ત્યારે જ પ્રકટે, જ્યારે હૈયામાં હેત હોય અને હેત નેત્રોમાંથી નેહ બનીને નીતરે. નેહ વિનાની મધુરતા બનાવટી, કપટી, પાખંડી હોય. શ્રીવલ્લભનાં વચનામૃતોનું પાન કરતાં શ્રીહરિરાયજીનાં નેત્રો શ્રીવલ્લભનાં નેત્રો સાથે મળે છે. ચાર નેત્રોનાં મિલનનો અનુભવ કરીને આપ ગાય છે: ‘ઔર નયન મધુર.’ આપનાં નેત્રોમાં પણ એ જ મધુરતા છે! એટલે તો એ નેત્રકમળ કહેવાય છે. એમાં કમળની અરુણિમાનો રંગ છે એ અનુરાગનો ઘૂંટાયેલો રંગ છે. એમાં કીકીની શ્યામલતા શ્રીશ્યામસુંદરની ભાવમગ્નતાની છે. એ નેત્રપટલનો શ્વેતવર્ણ લૌકિક વિરક્તિના ત્યાગ અને તપની શુચિતાનો છે. ‘કૃપારસ નૈન કમલદલ ફુલે.’ ‘કમલસી અખિયાં લાલ તિહારી.’

આ નયનોની મધુરતાએ તો શ્રીજીને ય રસવશ કર્યા. પ્રથમ મિલન વખતે આ નયનોમાંથી નેહના મેહ કેવા વરસ્યા હશે? શ્રીદમલાજીને આ નયનમાધુરી સદા ભીંજવતી રહી. મેઘનજી એ નયનમાધુરીના મધુકર બની, વિષમ સ્થળમાં ય શ્રીવલ્લભથી વેગળા ન થયા. શ્યામદાસ સુથાર અને સગુણદાસ તો ‘બિના મોલકે ચેરે’ બનીને રહ્યાં! આ નયનામૃતનું પાન કરીને શ્રીગુસાંઈજીએ એનું કારણ બતાવ્યું : ‘પ્રતિક્ષણનિકુંજસ્થલીલારસસુપૂરિત:’ નિકુંજ-લીલાના ક્ષણક્ષણના રસથી ભર્યાં ભર્યાં શ્રીવલ્લભનાં નેત્રો પ્રિયાનાં નેત્રો છે. એમાં પ્રેમરસ છલકે છે. એ નેત્રો “કૃપાદગ્વૃષ્ટિસંહ્રષ્ટદાસીપ્રિય:પતિ:”નાં છે. એમાંથી નિજભક્તો માટે સદૈવ કૃપારસ છલકે છે.

જ્યારે હૃદયમાં ભાવની ભરપૂર ભરતી આવે, ત્યારે વાણી મૌન બની જાય. છલકતાં નેત્રોની વાણી ખૂલી જાય. શ્રીવલ્લભનાં મધુર નેત્રોની આવી મધુર વાણી અનેક ભગવદીયોયે માણી છે. ‘ઈન નેનનકી બલિહારી.’ ‘કમલ નેણે ને અમૃત વેણે વાક્યમાધુરી રેડતા.’ આવાં ‘નયન ખંજન રસમાતે’ નેત્રોની મધુરતાનું પાન, એ તો આપણી આંખોનો મોક્ષ છે. પરમ ફળ છે.

શ્રીહરિરાયચરણની દ્રષ્ટિ આ નયનમાધુરીનું પાન કરતાં કરતાં આપનાં નેત્રો પરની ભ્રમરો અને તે પર ઝૂલી રહેલી અલકોમાં ઉરઝાઈ જાય છે. ભ્રોંહ યુગ મધુર અલકન કી પાંત. ભ્રોંહ એટલે આંખની ભમ્મર. યુગ એટલે જોડી-બે. આપનાં બે નેત્રો ઉપરની ભમ્મર તિરછી-ધનુષ્ય જેવી કુટિલ છે. ભમ્મર રૂપી ધનુષ્ય પર નેત્રની દ્રષ્ટિ રૂપી બાણનું શરસંધાન કરી, આપ નિજજનોનાં હૈયાં વીંધી રહ્યા છે. જેમ સરોવરથી કમળ શોભે અને કમળથી સરોવર શોભે, તેમ નેત્રોથી ભ્રમરો શોભે છે, અને ભ્રમરોથી નેત્રો શોભે છે. ભગવદીયોનો અનુભવ એવો છે કે એ નેત્રકમળો ઉપર ભ્રમરો રૂપી ભમરાઓ મંડરાય છે! નેત્રકટાક્ષ જેટલા જ ભમ્મરકટાક્ષ પણ મધુર છે. ભક્તિમાર્ગમાં ભ્રમર ભગવદ્ રસમાં આસક્ત ભક્તનું સ્વરૂપ છે. ‘ભ્રમરગીત’માં ગોપીજનોએ તો શ્રીશ્યામસુંદરને જ ભ્રમર કહી ઉપાલંભ-ઠપકો આપ્યો છે. શ્યામ ભ્રમરની પીળી મૂછો પીતાંબરધારી શ્યામમનોહરનું જ સ્મરણ કરાવે! અહીં શ્રીવલ્લભના લલાટ પર રાજતી શ્યામ ભ્રમરો પર લલાટનું પીત ચંદન લાગ્યું છે. જાણે સાંવરિયાલાલ પીતાંબર ધરીને, શ્રીવલ્લભનાં નેત્રકમળોનું પાન ન કરી રહ્યા હોય! એવી જ રીતે શ્યામરસપાગી ભક્તો પણ એ નેત્રરસનું પાન ભ્રમર રૂપે કરે છે!

ભગવાન અને ભક્તો બંનેની જોડી આ નેત્રકમળરસ માણે છે; તેથી કહ્યું : ‘ભ્રોંહ યુગ મધુર.’ ‘ભ્રૂભંગેથી સૃષ્ટિ નીપની, અતિ સુંદર બ્રહ્માંડ.’ ભગવાનના ભ્રૂભંગથી બ્રહ્માંડ પ્રકટ થયું, તેમ શ્રીવલ્લભના ભ્રૂભંગથી માયાવાદનો અસ્ત થઈ બ્રહ્મવાદ પ્રગટ થયો.

શ્રીવલ્લભના ‘કૃપા કટાક્ષે હુવા અક્ષરમાં ઉપન્યા સત્વ અનંત, ભક્તિલીન હુવા સૌભાગી, તે વૈષ્ણવ ગુણવંત. ’એમની જ ‘બીજી કટાક્ષે જે જન ઉપન્યા, માયામાં થયા લીન, કર્મજડ, આસુર, અન્ય ઉપાસક, ભજન ધર્મથી હીન.’

આવી ‘ભ્રોંહયુગ મઘુર’ ઉપર ‘અલકનકી પાંત’ શોભે છે. અલક એટલે કેશની લટો. પાંત એટલે પંક્તિ. શ્રીવલ્લભના શ્યામની લટો પવનમાં ઊડી ઊડી લલાટ ઉપર છવાય છે. એ અલકો પણ મુખકમળ ઉપર મંડરાતા ભક્તોનું જ ભાવાત્મક સ્વરૂપ છે. એ અલકો રૂપે ભક્તો આપના ‘શ્રીવૃંદાવનચંદ મુખરુચિ’ મુખની મધુરતાનું પાન કરે છે. આ અલકોથી આપની મુખછબિની શોભા અધિક બને છે. ‘ભ્રોંહ યુગ મધુર અલકન કી પાંત’ એમાં મધુર પદ વચમાં છે. કાવ્યની પરિભષામાં તેને ‘દેહલીદીપકન્યાય’ કહેવાય. બે ઓરડાની વચ્ચેના ઉંબરા ઉપર મૂકેલો દીવો બંને ઓરડાને અજવાળે તેમ અહીં મધુર પદ ભમ્મરો અને અલકો બંનેને લાગુ પડે છે.

(ક્રમશઃ)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૩)

(૩)

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે

સદા બસો મન યહ જીવનધન,

સબહીન સોં જુ કહત હૌં ટેરે

શ્રીહરિરાયજી પ્રભુચરણે આ કીર્તનની પ્રથમ પંક્તિમાં શ્રીવલ્લભ-નામ અને શ્રીવલ્લભ-સ્વરૂપની મધુરતાનો પરિચય આપણને કરાવ્યો. પોતાના આવા મધુરાકૃતિ શ્રીવલ્લભને, શ્રીહરિરાયજી હવે બીજી પંક્તિમાં ‘જીવનધન’ કહે છે.

જીવન અને ધન વિશેના દૃષ્ટિકોણ શાસ્ત્રતત્વ અને મર્મજ્ઞોના પણ એક નથી, ત્યાં આપણી સામે સાચો દૃષ્ટિકોણ ક્યાંથી હોય? સામાન્ય સંસારીજનો ધનને ભૌતિક સાધન-સંપત્તિ-સમૃદ્ધિના અર્થમાં સમજે છે. એમને મન ધન કમાવા માટે જીવન છે અને જીવન જીવવા માટે ધન છે. ધન વિનાનું જીવન દુ:ખમય છે. એમની વૃત્તિ-પ્રવૃત્તિના કેન્દ્રમાં કેવળ ધન છે, ‘પૈસો મારો પરમેશ્વર’; ‘સર્વે ગુણા:કાંચનમાશ્રયન્તે.’ સોનાથી બઘા સદગુણો આવી મળે છે.

પણ કેટલાક લોકોને લૌકિકની સાથે પારલૌકિકની ફિકર પણ હોય છે. કેટલાક જન્મજાત ફકીર હોય છે. પૈસાને બગાડ માની દૂર ભાગનારા હોય છે. એમાંના કોઈને વિદ્યામાં ધન જણાય છે, કોઈને શૌર્યમાં, કોઈને ત્યાગમાં, કોઈને તપમાં.

ભગવદ્ ભક્તો જુદી માટીના છે. એમની ખોપરી જ જુદી. સીતાજીએ અતિ મૂલ્યવાન ગજમોતીની માળા પ્રસાદરૂપે હનુમાનજીને આપી, ત્યારે દાંતથી એક એક મોતી તોડી જોવા લાગ્યા. અંદર એમના રામજી છે? રામજી હોય તો મોતી કામનાં; બાકી તો કુંભનદાસજીએ કહ્યું: “ભક્તનકો કહા સિકરીકો કામ? કુંભનદાસ લાલ ગિરિઘરન બિન યહ સબ જૂઠો ઘામ.” ભક્તને મન ભગવાન જ ધન-સર્વસ્વ. “ત્વમેવ દ્રવીણં” આથી જ સૂરદાસજી કહે છે. “બડો ધન હરિજનકો હરિનામ.”

ગોપિકાઓ તો ‘ગોપીગીત’માં એથીયે આગળ વધીને પરોક્ષ બનેલા ભગવાનને કહે છે: ‘ત્વયિ ધૃતાસવ’- ભલે તમારા વ્રજવાસથી અહીં લક્ષ્મી સ્થિરવાસ કરીને અમારી પર્ણકુટિમાં રહ્યાં હોય, પણ અમે તો તમારા માટે જ જીવીએ છીએ. અમારા પ્રાણ તમારા માટે જ ટક્યા છે!

આમ, ભક્તોના જીવનધન તો ભગવાન જ છે. એમના જીવનના શ્રેય માટે જરૂરી ધનરૂપ ભગવાન છે, જીવનના સુખરૂપ પણ ભગવાન છે અને જીવનના અંતિમ ફળરૂપ પણ ભગવાન જ છે.

શ્રીહરિરાયજી શ્રીવલ્લભને પોતાનું જીવનધન કહે છે; કારણ કે શ્રીદામોદરદાસ હરસાનીજીએ શીખવ્યું છે કે ગોવિંદથી ગુરુ મોટા છે. ગુરુ જ ગોવિંદ છે. આ જ વાત સૂરદાસજીએ પણ એમની અંતિમ ક્ષણે કહી: ‘દૃઢ ઈન ચરનન કેરો ભરોંસો.’ શ્રીવલ્લભ એ જ શ્રીનાથજી અને શ્રીનાથજી એ જ શ્રીવલ્લભ. શ્રીગુસાંઈજીએ બતાવ્યું: ‘વસ્તુત: કૃષ્ણ એવ.’ માટે શ્રીવલ્લભ આપણું જીવનધન છે. “ત્વમેવ સર્વં મમ દેવદેવ.”

ધન સુખ લાવે, ધન દુ:ખ દૂર કરે, ધન શાંતિ આપે. શ્રીવલ્લભે આપણને સેવાનું સુખ આપ્યું. સંસારનું અહંતા-મમતાનું દુ:ખ દૂર કર્યું. આપણને આશ્રય આપી નિશ્ચિંત કર્યાં, શાંતિ બક્ષી; માટે તેઓ આપણા જીવનધન છે.

ધનથી બધું મળે. નામ મળે અને પ્રતિષ્ઠા પણ મળે. ‘શ્રીવલ્લભ સાધૈ સબ સધે.’ શ્રીવલ્લભના મળવાથી ભગવદીય મળે, ભગવાન મળે.

આવું ધન ગમે ત્યાં ન રખાય. તિજોરીમાં રખાય. માટે શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે: “સદા બસો મન યહ જીવનધન” શ્રીવલ્લભરૂપી જીવનધન સદા મારા મનમાં બિરાજો. ત્યાંથી કોઈ તેમને લઈ જઈ શકશે નહિ. શરીરનું સગપણ તો શરીર સાથે નાશ પામશે. આત્માનો સંબંધ કાયમી રહેશે. માટે શ્રીવલ્લભને આત્મીય બનાવવા, આપણા મનમંદિરમાં પધરાવીએ. પણ પધરાવવા કેવી રીતે?

શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં તેનો પ્રકાર બતાવે છે. પહેલાં મનમંદિરને સાફસુથરું, સુઘડ બનાવો. મર્યાદામાર્ગમાં તે માટે યોગ, તપ વગેરે પ્રકારો છે; પણ એતો કપરા છે. તેથી શ્રીહરિરાયજી કહે છે: “કાહેકો દેહ દમત, સાધન કરિ, મૂરખજન.” આપશ્રી કહે છે: પુષ્ટિમાર્ગ તો પ્રેમમાર્ગ છે. જો પ્રેમીમાં તમારી અનન્યાતાપૂર્વકની શરણાગતિ અને સમર્પણનિષ્ઠા છે, તો તમારા મનના દોષો-અવગુણો પ્રેમીનો સાથ અને પ્રેમ પામવામાં અવરોધક નહિ બને. તમારો પ્રેમ તમારો મોટામાં મોટો ગુણ બની જશે; માટે પુષ્ટિમાર્ગમાં મનમંદિરને સજાવવા માટે દીનતા, નિ:સાધનતા, તાપક્લેશ અને ગુણગાન જરૂરી છે. તેનાથી સ્વરૂપાસક્તિ સુદૃઢ થશે. એક વખત શ્રીવલ્લભમાં સ્વરૂપાસક્તિ થઈ નથી કે શ્રીવલ્લભ મનમંદિરમાં પધાર્યા નથી.

દીનતા આદિ માટે માર્ગનિષ્ઠા થવી જોઈએ. શ્રીવલ્લભના ગ્રંથોના પાઠ, ચિંતન અને તે મુજબના આચરણથી જ માર્ગનિષ્ઠા બને. માર્ગનિષ્ઠા દૃઢ થતાં શ્રીવલ્લભ નામાત્મક અને રૂપાત્મક બંને સ્વરૂપે આપણા મનમંદિરમાં બિરાજે.

પુષ્ટિમાર્ગ એટલે કૃપામાર્ગ. ભગવાન ભોજન આપે, ચાવવા દાંત આપે અને ચાવવાની શક્તિ આપે, એ ભગવાનની કૃપા. પણ આપણે ચાવવું તો પડે જ. તેમ આપણે આપણા મનમંદિરમાં શ્રીવલ્લભને પધરાવવાનો પુરુષાર્થ તો કરવો જ પડે.

સાથે સાથે એ પણ નક્કી છે કે જે આંખનો વિષય બને, સદા માટે આંખમાં વસી જાય, તે જ મનનો વિષય બને, મનમંદિરમાં ય વસી જાય. આંખનો વિષય ન બને, તે મનનો વિષય કેવી રીતે બની શકે? પહેલાં શ્રીવલ્લભને આંખમાં વસાવવા પડે. શ્રીવલ્લભનું રૂપ આંખમાં અંજન બની અંજાઈ જાય. શ્રીહરિરાયજીનાં નેત્રોમાં એ કેવું અંજાઈ ગયું કે તેમના મનમાં એ જીવનધન સદાને માટે વસી ગયું?

શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે: ‘સબહીન સોં જુ કહત હૌં ટેરે.’ પોતાનો આ અનુભવ આપ બધાંને કહી રહ્યા છે. વાજતે-ગાજતે કહી રહ્યા છે. સૌને સમજાવી રહ્યા છે કે મધુરાકૃતિ શ્રીવલ્લભને પોતાના બનાવો. જીવનધન બનાવી હૃદયમાં સદાને માટે વસાવી લો. શ્રીવલ્લભ વિદ્યમાન આનંદ છે. ‘વિદ્યમાન આનંદ તજિ ચલત ક્યોં અપાથે?’

છતાં સૌને શ્રીહરિરાયજીની આ આજ્ઞા સમજાતી કેમ નથી? જવાબ સીધો છે: ‘અધિકારી પાખે એ વાણી, નહિ કોને ઉચ્ચાર.’ અધિકાર હોય તે સમજે. બાકી તો ‘સૂન્યો તો સહી, પરિ સમઝ્યો નાહીં’ જેવું થાય.

(ક્રમશઃ)

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી