શ્રીયમુનાષ્ટકમ્

।। શ્રીયમુનાષ્ટકમ્ ।।

રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી

Yamunashtak Raspan

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/YAMUNA-Lata2.mp3|titles=YAMUNA-Lata2]

(સ્વરઃ લતા મંગેશકર, રાગ-કલ્યાણ)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/Yamunaashtakam-1-1.mp3|titles=Yamunaashtakam-1]

(સ્વરઃ માયા દિપક, રાગ-ભૈરવી)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/Yamuna2.mp3|titles=Yamuna2]

(સ્વરઃ માયા દિપક, રાગ-કલ્યાણ)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/09/Yamunashtak_Rupa-Gandhi.mp3|titles=Yamunashtak_Rupa Gandhi]

(સ્વરઃ રૂપા ગાંધી)

—————————————————————————————

શ્રીમહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં સં.૧૫૪૮માં તેર વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામઘાટ ઉપર મુકામ કર્યો, ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રીયમુનાષ્ટકમ્ સ્તોત્ર દ્વારા શ્રીયમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ કરી. આ સ્તોત્રના પહેલા આઠ શ્લોકોમાં શ્રીયમુનાજીનાં આઠ ઐશ્વર્યોનું, તેમના અલૌકિક અદ્ભુત સ્વરૂપનું અને તેમના દિવ્ય ધર્મોનું વર્ણન કર્યુ છે.

આધિદૈવિક સૂર્યનાં પુત્રી શ્રીયમુનાજી ભક્તો ઉપર કૃપા કરવા ગોલોક ધામમાંથી કલિંદ પર્વત દ્વારા ભૂતળ ઉપર પધાર્યા છે. તેમનું આધિભૌતિક જળ સ્વરૂપ પણ અત્યંત શોભાયમાન છે. દુષ્ટ સ્વભાવવાળા જીવોનો ભગવત્સંબંધ શ્રીયમુનાજી જ કરાવી આપે છે. તેવાં આપ અત્યંત દયાળુ છે. શ્રીયમુનાજી પોતાના ભક્તોને અષ્ટસિદ્ધિ અને અષ્ટ ઐશ્વર્યોનું દાન કરે છે.તરસ છિપાવવા માટે પણ તેમના જલનું પાન કરનાર યમ-યાતનામાંથી છૂટતો હોય, તો આપનું માહાત્મ્યજ્ઞાન જાણીને પ્રેમભક્તિપૂર્વક આપનું પયઃપાન કરનાર ભક્તોને પુષ્ટિમાર્ગનું ઉત્તમોત્તમ ફળ શ્રીયમુનાજી આપે તેમાં આશ્ચર્ય શું?

શ્રીમહાપ્રભુજીના ૮૪ વૈષ્ણવો પૈકીનાં કિશોરીબાઈ આ ગ્રંથના ચોથા શ્લોકનો શ્રદ્ધાપૂર્વક અહર્નિશ પાઠ કરતાં હતાં. એમને શ્રીયમુનાજીએ સ્વયં પધારી અલૌકિક ફળનું દાન કર્યાનો પ્રસંગ આપણે જાણીએ છીએ. આવા શ્રીયમુનાષ્ટકનો અર્થના અનુસંધાન સાથે હંમેશાં પાઠ કરવાથી મળનારાં અલૌકિક ફળ શ્રીમહાપ્રભુજીએ છેલ્લા-નવમા શ્લોકમાં બતાવ્યાં છે.

(છંદઃ પૃથ્વી)

નમામિ યમુનામહં, સકલસિદ્ધિહેતું મુદા

મુરારિપદપંકજ  સ્ફુરદમંદરેણૂત્કટામ્ ।

તટસ્થનવકાનન  પ્રકટમોદપુષ્પાંબુના

સુરાસુરસુપૂજિતસ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ્ ।।૧।।

શ્રીયમુનાજી સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારાં છે. મુરારિ શ્રીકૃષ્ણનાં ચરણારવિંદથી શોભતી (પ્રકાશિત) પુષ્કળ રજથી ભરેલા કિનારાવાળા છે. તે કિનારા ઉપર નવીન વનો આવેલાં છે. તેમાં ઉત્પન્ન થયેલી પુષ્પોની સુગંધથી યુક્ત જલવાળાં છે. સુર અને અસુર અથવા દૈન્યભાવ અને માનભાવવાળાં વ્રજભક્તોથી સારી રીતે પૂજાયેલાં છે. કામદેવ (પ્રદ્યુમ્ન)ના પિતા એવા શ્રીકૃષ્ણની શોભાને ધારણ કરનારાં છે. આવાં શ્રીયમુનાજીને હું આનંદપૂર્વક નમન કરું છું. (૧)

કલિન્દગિરિમસ્તકે, પતદમંદપૂરોજ્જ્વલા

વિલાસગમનોલ્લસત્, પ્રકટગંડશૈલોન્નતા ।

સઘોષગતિદન્તુરા, સમધિરૂઢદોલોત્તમા

મુકુંદરતિવર્ધિની, જયતિ પદ્મબંધોઃ સુતા ।।૨।।

કલિન્દ નામના પર્વતના શિખર ઉપર વેગથી પડતા પ્રવાહને કારણે તેઓ ઉજ્જવલ દેખાય છે. વિલાસપૂર્વક ગતિ કરતાં હોવાથી તેઓ શોભે છે. પર્વતના ઊંચાનીચા પથ્થરોને લીધે તેઓ પણ ઊંચાંનીચાં દેખાય છે. જળના વહેવાના કારણે થતા અવાજ સાથેની તેમની ગતિમાં વધઘટ થાય છે. તેઓ જાણે ઉત્તમ પ્રકારના ઝૂલામાં સારી રીતે બિરાજ્યાં હોય તેવાં લાગે છે. તેઓ શ્રીમુકુંદ ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ વધારનારાં છે. આવાં સૂર્યપુત્રી શ્રીયમુનાજી જય પામે છે. (ર)

ભુવં ભુવનપાવનીમધિગતામનેકસ્વનૈઃ

પ્રિયાભિરિવ સેવિતાં, શુકમયૂરહંસાદિભિઃ ।

તરંગભુજકંકણ, પ્રકટમુક્તિકાવાલુકા

નિતંબતટસુંદરીં, નમત કૃષ્ણતુર્યપ્રિયામ્ ।।૩।।

શ્રીયમુનાજી પૃથ્વી ઉપર પધારે છે ત્યારે ભૂમંડલને પવિત્ર કરે છે. જેમ સખીજનો તેમની સેવા કરતાં તેમ વિવિધ પ્રકારના મધુર અવાજો કરતાં મોર, પોપટ, હંસ વગેરે પક્ષીઓ પણ તેમની સેવા કરે છે. તેમનાં જળનાં મોજાંરૂપી મોતીથી જડેલા કંકણ શોભી રહ્યાં છે. નિતંબભાગરૂપી બંને બાજુનાં તટથી તેઓ સુંદર દેખાય છે. શ્રીકૃષ્ણનાં પ્રિય એવાં એમનાં ચતુર્થ સ્વામિનીજી શ્રીયમુનાજીને તમે નમન કરો. (૩)

અનંતગુણભૂષિતે, શિવવિરંચિદેવસ્તુતે

ઘનાઘનનિભે સદા, ધ્રુવપરાશરાભીષ્ટદે ।

વિશુદ્ધમથુરાતટે, સકલગોપગોપીવૃતે

કૃપાજલધિસંશ્રિતે, મમ મનસ્સુખં ભાવય ।।૪।।

હે શ્રીયમુનાજી, આપ અસંખ્ય ગુણોથી સુશોભિત છો; શંકર, બ્રહ્મા વગેરે દેવો આપની સ્તુતિ કરે છે. નિરંતર ગાઢ મેઘ સમાન આપનું સ્વરૂપ છે. ધ્રુવ, પરાશર વગેરે (ભક્તો)ને ઇચ્છિત વસ્તુનું દાન કરનારાં છો. આપના કિનારા ઉપર વિશુદ્ધ મથુરાજી (જેવાં તીર્થો) આવેલાં છે. આપ સર્વ ગોપગોપીજનોથી વીંટળાયેલાં છો અને આપ કૃપાસાગર શ્રીકૃષ્ણનો સદા આશ્રય કરી રહો છો. હે શ્રીયમુનાજી, આપ મારા મનને સુખ થાય તેમ વિચારો. (૪)

યયા ચરણપદ્મજા, મુરરિપોઃ પ્રિયંભાવુકા

સમાગમનતો ભવત્, સકલસિદ્ધિદા સેવતામ્ ।

તયા સદ્રશતામિયાત્, કમલજા સપત્નીવ યત્

હરિપ્રિયકલિન્દયા, મનસિ મે સદા સ્થીયતામ્ ।।૫।।

ભગવાનનાં ચરણારવિંદમાંથી પ્રકટ થયેલાં શ્રીગંગાજી, શ્રીયમુનાજીના સમાગમથી મુરારિ શ્રીકૃષ્ણને પ્રિય બન્યાં તથા સેવા કરનારા પોતાના ભક્તોને સર્વ સિદ્ધિઓ આપનારાં થયાં. આવાં શ્રીયમુનાજીની બરાબરી બીજું કોણ કરી શકે? જો કદાચ કોઇ કરી શકે તો તે તેમની સમાન સૌભાગ્યવાળાં શ્રીલક્ષ્મીજી જ છે. આવાં શ્રીહરિના પ્રિય અને ભક્તોના દોષનો નાશ કરવાવાળાં શ્રીયમુનાજી મારા મનમાં નિરંતર વાસ કરો. (પ)

નમોઽસ્તુ યમુને સદા, તવ ચરિત્રમત્યદ્ભુતમ્

ન જાતુ યમયાતના, ભવતિ તે પયઃપાનતઃ ।

યમોઽપિ ભગિનીસુતાન્, કથમુ હન્તિ દુષ્ટાનપિ

પ્રિયો ભવતિ સેવનાત્, તવ હરેર્યથા ગોપિકાઃ ।।૬।।

હે શ્રીયમુનાજી, આપને સદૈવ નમન હો! આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે. આપનાં જલના પાનથી યમની પીડા કદી પણ ભોગવવી પડતી નથી; કારણ કે પોતાના ભાણેજો દુષ્ટ હોય, છતાંય યમરાજા તેમને શી રીતે મારે? જેવી રીતે કાત્યાયની વ્રત દ્વારા આપની સેવા કરીને શ્રીગોપીજનો પ્રભુને પ્રિય બન્યાં, તેવી રીતે આપની સેવા દ્વારા ભક્તો પણ પ્રભુને પ્રિય બને છે. (૬)

મમાઽસ્તુ તવ સન્નિધૌ, તનુનવત્વમેતાવતા

ન દુર્લભતમા રતિ  ર્મુરરિપૌ મુકુંદપ્રિયે ।

અતોઽસ્તુ તવ લાલના, સુરધુની પરં સંગમાત્

તવૈવ ભુવિ કીર્તિતા, ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ।।૭।।

શ્રીમુકુંદ ભગવાનને પ્રિય એવાં હે શ્રીયમુનાજી, આપની સમીપમાં મને ભગવત્લ્લીલામાં ઉપયોગી થાય તેવો અલૌકિક દેહ પ્રાપ્ત થાઓ. તેના વડે મુરારિ શ્રીકૃષ્ણ પ્રભુમાં અત્યંત સરળતાથી પ્રીતિ થશે. તેથી જ તો આપની સ્તુતિ દ્વારા આપને આ બધાં લાડ હો! શ્રીગંગાજી કેવળ આપના સમાગમથી જ દુનિયામાં કીર્તિ પામ્યાં છે. આપના સમાગમ વિનાનાં શ્રીગંગાજીની સ્તુતિ પુષ્ટિમાર્ગીય જીવોએ ક્યારે પણ કરી નથી. (૭)

સ્તુતિં તવ કરોતિ કઃ, કમલજાસપત્નિ પ્રિયે

હરેર્યદનુસેવયા, ભવતિ સૌખ્યમામોક્ષતઃ ।

ઇયં તવ કથાઽધિકા, સકલગોપિકાસંગમ

સ્મરશ્રમજલાણુભિઃ, સકલગાત્રજૈઃ સંગમઃ ।।૮।।

શ્રીલક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળાં હે શ્રીયમુનાજી, આપની સ્તુતિ કરવા કોઇ સમર્થ નથી. કારણ (સામાન્ય રીતે તો) પહેલાં ભગવાનની સેવા કરી, પછી લક્ષ્મીજીની સેવા કરનારને મોક્ષ પર્યંતનું સુખ મળે છે; પરંતુ આપની આ કથા (આપનું માહાત્મ્ય) સર્વથી શ્રેષ્ઠ છે. કારણ કે રાસલીલા બાદ સકલ વ્રજભક્તો સાથે જલવિહાર કરતાં પ્રભુને ભક્તો સહિત થયેલ ક્રીડાના શ્રમજલકણોનો જેમાં સંયોગ થયો છે, તેવા આપના જલકણો સાથે આપની સેવાથી ભક્તોનાં બધાં અંગોનો સમાગમ થતાં જ લીલાપ્રાપ્તિનો અનુભવ થાય છે. (૮)

તવાઽષ્ટકમિદં મુદા, પઠતિ સૂરસૂતે સદા

સમસ્તદુરિતક્ષયો, ભવતિ વૈ મુકુંદે રતિઃ ।

તયા સકલસિદ્ધયો, મુરરિપુશ્ચ સંતુષ્યતિ

સ્વભાવવિજયો ભવેદ્-વદતિ વલ્લભઃ શ્રીહરેઃ ।।૯।।

હે સૂર્યપુત્રી શ્રીયમુનાજી! આપના આ અષ્ટકનો (સ્તોત્રનો) જે કોઇ નિરંતર આનંદપૂર્વક પાઠ કરે છે તેને નીચેનાં ફળ પ્રાપ્ત થાય છેઃ (૧) તેનાં બધાં પાપો નાશ પામે છે. (ર) તેને નિશ્ચયપૂર્વક શ્રીમુકુંદ ભગવાનમાં પ્રીતિ થાય છે. (૩) આવી પ્રીતિના કારણે તેને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. (૪) તેના સ્વભાવનો વિજય થાય છે. (સંસારમાંથી તેનું મન મુક્ત થઇ, તે ભગવદ્ધર્મનું આચરણ કરવા અનુકૂળ બને છે.) આમ શ્રીસ્વામિનીજી અને શ્રીઠાકોરજીને પ્રિય એવા શ્રીવલ્લભાચાર્યજી કહે છે. (૯)

।। ઇતિ શ્રીમદ્ વલ્લભાચાર્યવિરચિતં શ્રીયમુનાષ્ટકસ્તોત્રં સંપૂર્ણમ્ ।।

આ પ્રમાણે શ્રીવલ્લભાચાર્યજીએ રચેલું શ્રીયમુનાષ્ટક સંપૂર્ણ થયું.

આછો નીકો લોંનો મુખ ભોર હી દિખાઇયે

કલેઉનું પદ

(ભક્ત કવિ શ્રીપરમાનંદદાસ)

(રાગ-ભૈરવ)

આછો નીકો લોંનો મુખ ભોર હી દિખાઇયે ।।

નિશ કે ઉનીદે નયના તોતરાત મીઠે બેના

ભાવતે જિય કે મેરે સુખહી બઢાઇયે ।। ૧ ।।

સકલ સુખ કરન વિવિ તાપ હરન

ઉરકો તિમિર બાઢ્યો તુરત નસાઇયે ।।

દ્વાર ઠાડે ગ્વાલ બાલ કરોહો કલેઉ લાલ

મીસીરોટી છોટી મોટી માખન સોં ખાઇયે ।। ર ।।

તનકસો મેરો કન્હૈયા વાર ફેર ડારે મૈયા

બેંની તો ગુહોં બનાઇ ગહરન લગાવે ।।

‘પરમાનંદ’ પ્રભુ જનની મુદિત મન ફૂલી ફૂલી

અતિ ઉર આનંદ ન સમાઇયે ।। ૩ ।।

ભાવાર્થઃ

શ્રીયશોદામા શ્યામસુંદરને વિનંતી કરે છેઃ ‘હે લાલ, તમારું અતિ સુંદર, માખણ જેવું કોમળ (આછો નીકો લોંનો) મુખારવિંદનાં સવારમાં દર્શન કરાવો. તમારાં નેત્રોમાં રાત્રિના ઉજાગરાની લાલાશ જણાય છે. તમે બાલસુલભ વાણીમાં મીઠાં વચનો કહો છો, તેથી મારા હૃદયને તમે ખૂબ પ્રિય લાગો છો. માટે તમે મારું સુખ વધારો.’

‘આપ અમારી આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રણે ય પ્રકારના તાપ હરી લઇ અમને સર્વ પ્રકારનું સુખ આપનારા છો. અમારા હૃદયમાં અજ્ઞાનરૂપી અંધકારી વધ્યો છે, તે આપ દૂર કરો. હે લાલ, બારણે ગ્વાલબાલ તમારી  રાહ જોતા ઉભા છે. માટે તમે જલદી કલેઉ કરી લો. આપના માટે મેં સુંદર નાની મોટી મિસિ રોટી (ઘી ચોપડી ખાંડ ભભરાવેલી રોટી) બનાવી છે, તે તમે માખણ સાથે આરોગો.’

યશોદામા કહે છેઃ ‘મારો કનૈયા ખૂબ નાનો (તનકસોં) છે. હું તમારી સુંદર વેણી ગૂંથી દઇશ. મારા લાલના હું ઓવારણાં લઉં છું, અને તેને છાતીસરસો ચાંપું છું.’

શ્રીપરમાનંદદાસજી કહે છેઃ ‘મારા પ્રભુનાં માતા આમ પ્રસન્ન મનથી ખૂબ ફૂલાયાં છે અને તેમના હૃદયમાં આનંદ સમાતો નથી’

શ્રીમહાપ્રભુજીનું ધ્યાન

(છંદઃ શાર્દૂલવિક્રીડીત)

સૌન્દર્યં નિજહૃદ્​ગતં પ્રકટિતં, સ્ત્રીગૂઢભાવાત્મકં

પુંરૂપં ચ પુનસ્તદન્તરગતં, પ્રાવીવિશત્ સ્વપ્રિયે ।

સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ, કૃષ્ણો હિ યત્સાક્ષિકં

રૂપં તત્ ત્રિતયાત્મકં પરમભિધ્યેયં સદા વલ્લભમ્ ।।

ભાવાર્થઃ

શ્રીઠાકોરજીએ પોતાના હૃદયમાં બિરાજતાં શ્રીસ્વામિનીજીના સ્ત્રીગૂઢભાવાત્મક સૌન્દર્યસ્વરૂપને પ્રકટ કર્યું. તેવી જ રીતે શ્રીસ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રીઠાકોરજીનું પુંભાવાત્મક સૌન્દર્યસ્વરૂપ પણ પ્રકટ થયું. આમ, બંને સ્થળે પ્રકટ થયેલ બંને પ્રકારનાં સૌંદર્યસ્વરૂપોને શ્રીઠાકોરજીએ પોતાના પ્રિય એવા શ્રીવલ્લભાચાર્યજીમાં પધરાવ્યાં. આમ બંને પ્રકારનાં સ્ત્રીપુંભાવ સૌંદર્યસ્વરૂપોનો સંયોગ થવાથી રસાત્મક એવા શ્રીકૃષ્ણ જ પોતાના પ્રિય સ્વરૂપ (શ્રીવલ્લભાચાર્યજી) સાથે એકરસ થઇ શોભ્યા. આવી આ અદ્​ભુત લીલાના સાક્ષીરૂપ અને આ ત્રણે સ્વરૂપ જેમાં બિરાજમાન છે, તેવા શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું (દરેક વૈષ્ણવે) નિત્ય, ઉત્તમ રીતે ધ્યાન ધરવું.

ભાવાનુવાદઃ

રાધા-રૂપ રસે ભર્યું, હૃદયથી પ્રેમે પ્રકાશે પ્રભુ;

ને મૂર્તિ નિજ નાથની મદભરી, પ્રત્યક્ષ કીધી પ્રિયા;

પામે યુગ્મ અનેરું ઐક્ય અહીં એ, ભેટન્ત ભાવે ભરી;

ધ્યાને એ ધરું નિત્ય રૂપ નવલું શ્રીવલ્લભાધીશનું.

ભાવાનુવાદ-શ્રી વ્રજરત્નદાસ ચી. પરીખ (પાટણ)

વ્રજ ભયો મહરિકે પુત

નંદમહોત્સવનો સાક્ષાત્કાર

શ્રી મહાપ્રભુજીએ સૂરદાસજીએ પુરુષોત્તમસહસ્ત્રનામ સ્તોત્ર સંભળાવ્યો એટલે ભાગવતની સમગ્ર લીલાઓ એમને હૃદયારૂઢ થઈ.

એક વખત શ્રીનવનીતપ્રિયાજીને ત્યાં નંદમહોત્સવ થઈ રહ્યો હતો. સૂરદાસજીને કીર્તન ગાવાની આજ્ઞા થઈ. પ્રભુપ્રાગટ્યની લીલા એમનાં અંતઃચક્ષુ સમક્ષ દ્રશ્યમાન થઈ. મન આનંદ વિભોર બની ગયું અને એ ગાવા લાગ્યા.

(અભ્યંગ સમયનું પદ)

(રાગ-દેવગંધાર)

વ્રજ ભયો મહરિકે પુત, જબ યહ બાત સુની, સુનિ આનંદે સબ લોગ, ગોકુલ ગણિત ગુની ।

વ્રજ પૂરવ પૂરે પુન્યરૂપી કુલ, સુથિર થુની, ગ્રહ લગ્ન નક્ષત્ર બલિ સોધિ, કીની વેદ ધ્વની ।।૧।।

સુનિ ધાઇં સબે વ્રજનારી, સહજ સિંગાર કિયે, તન પહરે નૌતન ચીર, કાજર નૈન દિયે ।

કસિ કંચુકી તિલક લિલાટ, શોભિત હાર હિયેં, કર કંકણ કંચન થાર, મંગલ સાજ લિયેં ।।૨।।

વે અપને અપને મેલ, નિકસીં ભાંતિ ભલીં, માનો લાલ મુનિનકી પાંતિ, પિંજરત ચૂર ચલી ।

વે ગાવેં મંગલગીત મિલી, દશ પાંચ અલીં, માનો ભોર ભયો રવિ દેખિ, ફૂલી કમલ કલી ।।૩।।

ઉર અંચલ ઉડત ન જાન્યો, સારી સુરંગ સુહીં, મુખ માંડ્યો રોરી રંગ, સેંદુર માંગ છુહી ।

શ્રમ શ્રવનન તરોના તરોના, બેની શિથિલ ગુહી,

શિર બરખત કુસુમ સુદેશ, માનો મેઘ ફૂહી ।।૪।।

પીય પહલેં પોહોંચી જાય, અતિ આનંદ ભરી, લઈ ભીતર ભવન બુલાય, સબ શિશુ પાય પરી ।

એક વદન ઉઘારી નિહારત, દેત અસીસ ખરી, ચિરજીયો યશોદાનંદ, પૂરન કામ કરી ।।૫।।

ધન્ય ધન્ય દિવસ ધન્ય રાત્ર, ધન્ય યહ પહર ઘરી,

ધન્ય ધન્ય મહરિજૂકી કૂખ, ભાગિ સુહાગ ભરી ।

જિન જાયો એસો પૂત, સબ સુખ ફલન ફરી, થિર થાપ્યો સબ પરિવાર, મનકી શૂલ હરી ।।૬।।

સુતિ ગ્વાલન ગાય, બહોરિ બાલક બોલિ લિયે, ગુહિ ગુંજા ઘસિ વન ધાતુ, અંગ અંગ ચિત્ર ઠયે ।

શિર દધિ માખનકે માંટ, ગાવત ગીત નયે,

સંગ ઝાંઝ મૃદંગ બજાવત, સબ નંદભવન ગયે ।।૭।।

એક નાચત કરત કુલાહલ, છિરકત હરદ દહીં, માનોં બરખત ભાદોમાસ, નદી ઘૃત દૂધ બહી ।

જાકો જહીં જહીં ચિત જાય કૌતિક તહીં તહીં, રસ આનંદ મગન ગુવાલ, કાહૂ બદત નહી ।।૮।।

અક ધાય નંદજૂપે જાય, પુનિ પુનિ પાય પરે, એક આપ આપુહિ માંઝ, હસિ હસિ અંક ભરે ।

એક અંબર સબહી ઉતારિ દેત નિશંક ખરેં, એક દધિરોચન ઔર દૂબ, સબનકે શીશ ધરે ।।૯।।

તબ નંદ ન્હાય ભયે ઠાડે, અરુ કુશ હાથ ધરે, નાંદીમુખ પિતર પુજાય અંતર સોચ હરેં ।

ઘસિ ચંદન ચારુ મંગાય, વિપ્રન તિલક કરે,

વર ગુરૂ જન દ્વિજન પહરાય, સબનકે પાંય પરે ।।૧૦।।

ગન ગૈયા ગિની ન જાય, તરુન સુવચ્છ બઢી, નિત ચરૈં યમુનાજૂકે, કાછ દૂને દૂધ ચઢી ।

ખુર રુપે તાંબે પીઢ, સૌને સીંગ મઢી, તે દીની દ્વિજન અનેક, હરખિ અસીસ પઢી ।।૧૧।।

તબ અપને મિત્ર સુબંધુ, હસિ હસિ બોલિ લીયે, મથિ મૃગમદ મલય કપૂર, માથેં તિલક કીયે ।

ઉર મણિમાલ પહરાય, વસન વિચિત્ર દીયે, માનો વરષત માસ અષાઢ દાદુર મોર જીયે ।।૧૨।।

વર બંદી માગધ સૂત, આંગન ભવન ભરે, તે બોલે લે લે નામ, હિત કોઉ ના બિસરે ।

જિન જો જાચ્યો સો દીનો, રસ નંદરાય ઢરે, અતિ દાન માન પરધાન, પૂરન કામ કરે ।।૧૩।।

તબ રોહિની અંબર મગાય, સારી સુરંગ ઘની, તે દીન વધૂન બુલાય, જૈસી જાય બની ।

વે અતિ આનંદિત બહોરિ, નિજ ગૃહ ગોપ ધની,

મિલિ નિકસી દેત અસીસ, રુચિ અપુની અપુની ।। ૧૪।।

તબ ઘરઘર ભેરિ મૃદંગ, પટહ નિસાન બજે, વર બાંધી બંદનમાલ અરુ ધ્વજ ક્લશ સજે ।

તબ તા દિનતેં વે લોગ, સુખ સંપતિ ન તજે,

સુનિ સૂર સબનકી યહ ગતિ જે હરિ ચરન ભજે ।।૧૫।।

ભાવાર્થઃ

શ્રી યશોદાજીને ત્યાં પુત્ર જન્મ થયાની વાત વ્રજમાં પ્રસરી ત્યારે તે સાંભળતાં જ વ્રજવાસીઓ ઘણા આનંદમાં આવી ગયાં. વળી ગણ્યા ગણાય નહિ એટલા ગુણીજનો (ભાટ-યાચકો) ગોકુલમાં આવવા લાગ્યા.

પૂર્વનાં પૂરાં પુણ્યને લીધે, નંદરાયજીના કુલને સ્થિર કરનાર (બનાવનાર) સ્તંભ જેવા શ્રી કૃષ્ણ પ્રગટ્યા. જ્યોતિષીઓ આવ્યા છે. ગ્રહો, નક્ષત્રોનું બલ શોધીને કુંડલી તૈયાર કરે છે. વેદમંત્રોના ધ્વનિથી નંદભવન ગાજી રહ્યું છે. (૧)

(જે ચિરકાલથી આ દિવસની પ્રતીક્ષા કરી રહી હતી તે, વેદની શ્રુતિઓ રૂપી) વ્રજનારીઓ તો નંદસદન પ્રતિ દોડવા લાગી છે. એમના સહજ સિંગારનું અને આનંદોલ્લાસનું મનોરમ વર્ણન કવિ હવે કરે છે.

સૌએ નવાં નવાં ચીર ધારણ કર્યાં છે. નયનોમાં અંજન છે.

ચળીઓ કસીને પહેરી છે. લલાટમાં બિંદીઓ કરેલી છે. છાતી પર મોતીના હાર ઝૂલી રહ્યા છે. હાથમાં થાળ લીધા છે અને કંકણનો રણકાર થાય છે. થાળમાં મંગલ સામગ્રી સાજેલી છે. (૨)

પોતપોતાના મેળની સરખી સહિયરો સાથે સૌ નીકળી છે. લાલ સુરંગ સાડીઓ પહેરીને બની ઠનીને આવી રહી છે. એ દ્રશ્ય કેવું દેખાય છે? જાણે લાલ મુનિ નામક પક્ષીઓ, પાંજરાં તોડીને, એક સાથે ઊડી રહ્યાં હોય! (ગોપીઓ જાણે ચાલતી નથી, પણ ઊડી રહી છે, એવું દ્રશ્ય લાગે છે. ભારે ઉમંગમાં છે ને!)

પ્રભાતમાં સૂર્યોદય થાય અને કમળની કળીઓ ખીલે એવાં એમનાં હૃદય કમલ પ્રફુલ્લિત બન્યાં છે. પાંચ પાંચ, દસ દસ, સખીઓ સાથે સ્વર મિલાવીને, મંગલ ગીતો ગાતી જાય છે. (૩)

મુખ પર કુંકુમની આડ કરેલી છે. સેંથામાં સિંદૂર પૂર્યો છે. વક્ષઃસ્થલ પરનો પાલવ પવનથી ઊડીને ઊંચો થાય છે. ત્યારે ઉર પ્રદેશ ખુલ્લો થાય છે. આમ તો એ લજ્જાશીલ યુવતીઓ આવું ન થવા દે. અત્યારે આનંદના અતિરેકમાં એમને એનું યે ભાન રહેતું નથી. મન નંદનંદનમાં એવું લાગી ગયું છે. અલૌકિક આનંદમાં લોકલજ્જાત વિસરાઈ જાય છે.

વેગીલી ગતિને લીધે શરીર, શ્રમજલ (પસીના) થી ભીંજાઈ જાય છે; કાનનાં આભૂષણો ડોલી રહ્યાં છે; કેશ પાશ ઢીલો પડવાથી એમાં ગૂંથેલાં પુષ્પોની વૃષ્ટિ થઈ રહી છે. (૪)

ગોપો અને ગોપીઓ ઘેરથી તો સાથે નીકળ્યાં હશે. પણ ગોપીઓનો ઉત્સાહ વિશેષઃ એ પતિથી પહેલી પહોંચી ગઈ. રોહિણીજીએ એમને ઘરની અંદર બોલાવી. બાલકને સૌ પગે લાગવા માંડી.

જેનાં મનમાં જે આવે તે આશીર્વચન ઉચ્ચારે છે. પાલનામાં ઢબૂડીને પોઢાવેલા લાલનું મુખ ઉઘાડીને કોઈ ગોપી કહે છે. ‘ઓ યશોદાનંદન! આપ ચિરંજીવો. અમારી મનોકામનાઓને પૂરવા આપ પ્રગટયા છો.’ (૫)

કોઈ કહે છેઃ ‘આ દિવસ-રાત, આ પહોર, આ ઘડી બધું ધન્ય બની ગયું. અરે, યશોદા મૈયાની કૂખને ય કોટિ કોટિ ધન્યવાદ! એ ભાગ્ય સૌભાગ્યથી સભર બની ગઈ!

જે કૂખે સાક્ષાત્ પ્રભુ પુત્ર રૂપે પ્રગટયા. સર્વ સુખ અને સકલ ફલ ફલિત થયાં. આ પુત્ર આખા પરિવારને સ્થિર કરીને સ્થાપશે. દુઃખોને દૂર કરશે. (૬)

ગાયો ચરાવતા ગોવાળોએ પુત્ર જન્મની વાત સાંભળીને ગાયોને વાળી લીધી. પોતાના બાળકોને પાછા બોલાવ્યા. ઘેર આવીને શણગાર પહેર્યા. કેવા? ગુંજાની માળાઓના અને ગોપીચંદનનાં ચિત્રોથી શરીરની શોભા કરી.

પછી એ ગોવાળોએ માથે દહીંમાખણનાં માટ લીધાં. નવાં ગીત ગાતા, ઝાંઝ મૃદંગ બજાવતા, એ નંદભવનમાં પહોંચ્યા. (૭)

ગોવાળિયા મસ્ત બનીને નીચે છે. ‘નંદ ઘેર આનંદ ભયો.’ ગાતાં કોલાહલ મચાવે છે. હળદર મિલાવેલું દહીં છાંટતાં, એવી ઝડી વરસાવે છે કે જાણે દહીંની વર્ષા ન થતી હોય! વરસાદ વરસે ત્યાં જળનો પ્રવાહ ચાલે; અહીં દૂધ-દહીં-માખણની નદી વહી રહી છે!!

જ્યાં જોઈએ ત્યાં નવું જ કૌતુક દેખાય છે. આનંદ રસમાં મસ્ત બનેલા ગ્વાલબાલો કોઈને ગાંઠતા નથી; સ્વચ્છંદ ખેલી રહ્યા છે. (૮)

કોઈ તો નંદરાયજીની પાસે દોડી જાય છે. એમને પગે પડે છે. કોઈ હસી હસીને પરસ્પર આલિંગન આપી રહ્યા છે.

કોઈ કોઈને માથે દહીં રેડે છે તો કોઈ ગોરોચન અને દુર્વા (ધરો) સૌને માથે મૂકતા ફરે છે. કોઈ તો વળી પોતાનાં પહેરેલાં વસ્ત્રો કાઢીને બીજાને આપી દે છે. આમ કરતાં સંકોચ પણ થતો નથી. આનંદમાં ઘેલા થઈ ગયાં છે ને! દિવાનાઓને નિરાવરણ થતાં ક્યાં શરમ આવે છે? (૯)

હવે કવિ બીજી બાબતો વર્ણવે છેઃ

નંદરાયજી સ્નાન કરીને ઊભા થાય છે. હાથમાં દર્ભ લીધો છે. સુંદર ચંદન વડે વિપ્રોને તિલક કરે છે.

નાંદીમુખ, પિતૃ પૂજન, વિગેરે વિધિઓ કરે છે. અંતરના શોચને દૂર કરે છે. વડીલો તથા વિપ્રોને વસ્ત્રો પહેરાવે છે. પછી સૌને પગે લાગે છે. (૧૦)

નંદજીને ઘેર અગણિત ગાયો છે. ગાયો યુવાન છે. એમનાં સુંદર વાછરડાં વધતાં જાય છે. ગાયો યમુના તટે ચરે છે. પ્રભુના પ્રાગટ્યથી ગાયોને એવો હર્ષ થયો છે કે બમણું દૂધ આપવા લાગી છે.

આવી અનેક ગાયોને શણગારવામાં આવી. ખરીઓ રૂપાથી, પીઠ તાંબાથી અને શિંગડીઓ સોનાથી મઢી. નંદરાયજી આવી ગાયો બ્રાહ્મણોને દાનમાં આપે છે. એ ભૂદેવો હર્ષ પામીને બાલકને આશીષ આપે છે. (૧૧)

પછી સગાં સંબંધીઓને પ્રેમથી આદર આપીને બોલાવ્યાં. ચંદનમાં કસ્તુરી બરાસ મેળવીને એમને તિલક કર્યું.

પછી રત્નના હાર પહેરાવ્યા. છૂટે હાથે વિવિધ વસ્ત્રો વહેંચ્યાં. જાણે એની હેલી વરસી. વર્ષા થતાં અષાઢ માસમાં દાદુર અને મયૂરો રાજી થઈ જાય તેવાં સૌ પ્રફુલ્લિત થયાં. (૧૨)

યાચકો બંદીજનો, ભાટ ચરણોથી આંગણું અને ઘર ભરાઈ ગયું છે સૌને બોલાવી બોલાવીને દાન આપે છે. કોઈનું હિત બાકી રાખતા નથી.

અરે જણે જે માગ્યું તે આપ્યું. નંદરાય એવા અઢળક ઢળી રહ્યા છે. સૌને સૌની યોગ્યતા અનુસાર આપે છે; કોઈને દાન આપે છે, કોઈને શિરપાવ આપે છે તો કોઈને વસ્ત્રો પહેરાવે છે. દરેકની કામના પૂર્ણ કરે છે. (૧૩)

હવે સ્ત્રીજનોની વાતઃ રોહિણીજીએ અમ્મર મગાવ્યાં. રંગબેરંગી સાડીઓ મગાવી. કુટુંબની વહુઆરૂઓને બોલાવીને, જેને જે શોભે તે આપી.

ગોપીઓ આનંદમાં મગ્ન છે. પોતાના ઘરવાળા સહિત, સજોડે, નવ જાત બાલકને આશીષ આપી રહી છે. જેના મનમાં જે ઠીક લાગે તે કહે છે. (૧૪)

માત્ર નંદભવનમાં નહિ; વ્રજમાં ઘેર ઘેર મંગલ મહોત્સવ થઈ રહ્યો છે. ભેરિ, મૃદંગ, પટહ અને નિશાન જેવાં વાંજિત્રો સર્વત્ર વાગી રહ્યાં છે. બારણે બારણે તોરણો બંધાયાં છે; ધજાઓ ફરકે છે, કલશ ચઢ્યા છે.

છેવટે, શ્રી સૂરે ગાયું કે,

તબ તા દિનતેં વે લોગ, સુખ સંપત્તિ ન તજે.

અર્થાત્, પ્રભુ પ્રગટયા એને લીધે વ્રજવાસીઓ આમ સુખ સંપત્તિ યુક્ત બની ગયાં. સદૈવ સુખમાં રહેવા લાગ્યાં.

શ્રી મહાપ્રભુજી આ અદ્ભુત વર્ણન વાળું પદ સાંભળતાં અતિ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી.

સુન સૂર! સબનકી યહ ગતિ, જો હરિ ચરન ભજે.

‘અરે સૂરદાસજી! મારી વાત તો સાંભળો; વ્રજવાસીઓને જે સુખની પ્રાપ્તિ થઈ તેવી જ અત્યારે પણ ભગવાનનાં ચરણનું સેવાસ્મરણ કરનારને થાય છે. હવે પછી પણ થશે.’ (૧૫)

પદ પુરૂં થાય છે. શ્રીવલ્લભનું કેવું આર્શીવચન! આપશ્રીએ જે સેવામાર્ગ પ્રગટ કર્યો છે તે સારસ્વત કલ્પની લીલનું જ પ્રતિબિંબ છે. જે સુખ ત્યારે હતું તે અત્યારે છે. શ્રીવલ્લભની કૃપાથી આધુનિક ભગવદીઓ એવું જ સુખ અંતરમાં અનુભવે છે. આથી શ્રેષ્ઠ માર્ગ બીજો કયો હોઈ શકે!

શબ્દાર્થઃ

થુની = થાંભલો, સ્તંભ,

લાલ મુનિ = એક જાતનાં પક્ષીઓ

પાંત = પંક્તિ, હાર

શ્રવણ = કાન

તરલ = ડોલતાં

તરોના = કર્ણ ભૂષણ

બહોરિ = વળી

વન  ધાતુ = ગોપીચંદન

કાહુ બદત નહીં = કોઈને ગાંઠતા નથી.

અંક = આલિંગન

રોચન (ગોરોચન) = ગાયના ઝરણમાંથી થતો પીળો પદાર્થ

દૂબ, કુસ = ધરો

વર = સુંદર

ગન (ગણ) = જૂથ

તે બોલે = તેમને બોલાવ્યા

પરિધાન = પહેરવાનાં વસ્ત્રો.

નેનભર દેખો નંદકુમાર

જન્માષ્ટમીની વધાઈ

રચનાઃ ચતુર્ભુજદાસજી

(રાગઃ દેવગંધાર)

નેનભર દેખો નંદકુમાર,

જસુમતિ કૂખ ચંદ્રમા પ્રગટ્યો યા વ્રજકો ઉજિયાર. (૧)

વન જિન જાઉ આજ કોઉ ગોસુત ઔર ગાય ગુવાર,

અપને અપને ભેષ સબે મિલ લાવો વિવિધ સિંગાર. (૨)

હરદ દૂબ અક્ષત દધિ કુમકુમ મંડિત કરો દુવાર,

પૂરો ચોક વિવિધ મુક્તાફલ ગાવો મંગલચાર. (૩)

ચહું વેદધ્વનિ કરત મહામુનિ હોત નક્ષત્ર વિચાર,

ઉદયો પુન્યકો પુંજ સાંવરો સકલ સિદ્ધિ દાતાર. (૪)

ગોકુલવધૂ નિરખિ આનંદિત સુંદરતાકો સાર,

દાસ ચતુર્ભુજ પ્રભુ સબ સુખ નિધિ ગિરિધર પ્રાન આધાર. (૫)

ભાવાર્થઃ

ચતુર્ભુજદાસજી નંદમહોત્સવના દિવસે સવારમાં આ પદ ગાઈ રહ્યા છે. ચાલો આપણે પણ પહોંચી જઈએ નંદમહોત્સવનાં દર્શન કરવા નંદભવનમાં.

તેઓ કહે છે કે નંદભવનમાં પારણામાં પોઢેલા નંદકુમારનાં તમે નયનભરીને દર્શન કરો. એ નંદકુમાર એવા સુંદર દેખાય છે કે જાણે માતા જસુમતિની કૂખે ચંદ્રમા પ્રગટ્યો હોય એવું લાગે છે. જેમ ચંદ્ર આકાશમાં એટલે સમગ્ર જગતને પ્રકાશિત કરે તેમ વ્રજમાં પ્રગટેલો આ કૃષ્ણચંદ્ર સમગ્ર વ્રજને પ્રકાશિત કરી રહ્યો છે.

આજે ખૂબ આનંદનો દિવસ છે. નંદભવનમાં શ્રીકૃષ્ણના પ્રાગટ્યનો મહોત્સવ મનાવાઈ રહ્યો છે. તેથી આજે સર્વ ગ્વાલબાલોને પોતાની ગાયો અને વાછરડાં લઈને વનમાં જવાની કવિ ના પાડે છે. તેઓ કહે છે કે આજે તમે વનમાં ન જશો, પણ અક્ષત્, કુમકુમ, હળદર, ધરો, દહીં વગેરે મંગલ પદાર્થોથી તમારા આંગણાને શોભાયમાન બનાવો. સુંદર વિવિધ રંગનાં મોતીથી રંગોળી પૂરો, મંગલ ગીતો ગાઓ. ગીતો ગાતાં ગાતાં નંદભવન પહોંચી જાઓ. ત્યાં પ્રભુપ્રાકટ્યના ઉત્સવમાં સામેલ થઈ જાઓ.

જુઓ, આજે પ્રભુ પ્રાકટ્યનો આનંદ મનાવવા મોટા મોટા મુનિજનો અહીં આવ્યા છે. વેદનું ગાન કરી રહ્યા છે. એનો ધ્વનિ સમસ્ત ગોકુળમાં ગાજી રહ્યો છે. મુનિજનો પ્રભુના જન્મ સમયના નક્ષત્રોનો અભ્યાસ કરીને કહે છે કે આજે અનેક જન્મોના પુણ્યના પ્રતાપે નંદરાયજી અને જશોદાજીના ઘેર પ્રગટેલો આ સાંવરો બાળક વ્રજને બધી જ સિદ્ધિઓ આપનારો બની રહેશે.

ઘેરઘેરથી ગોકુલની વ્રજનારીઓ લાલાનાં દર્શને આવી છે. સમસ્ત વિશ્વની સુંદરતાને ધારણ કરનારા બાલકૃષ્ણને નિરખીને આનંદિત થઈ રહી છે.

ચતુર્ભુજદાસજી કહે છે કે સર્વ સુખોના ભંડાર એવા આ ગિરિધરલાલ મારા પ્રાણના આધાર છે. એ ગિરિધરલાલને આજે તેમના જન્મોત્સવના દિવસે નયનભરીને નિરખવાનું સૌભાગ્ય તમે સૌ મારી સાથે પ્રાપ્ત કરો અને ધન્ય થાઓ.

સૌને જન્માષ્ટમી અને નંદમહોત્સવની ખૂબ ખૂબ વધાઈ!

કૌન સુકૃત ઈન વ્રજવાસીનકો

જન્માષ્ટમીની વધાઈ

રચનાઃ સૂરદાસજી

(રાગઃ ગોરી)

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/kaun-sukrut.mp3|titles=kaun sukrut]


કૌન સુકૃત ઈન વ્રજવાસીનકો વદત વિરંચી શિવ શેષ ।

શ્રીહરિ જીનકે હેત પ્રગટે ગહી માનુષ વેષ ।।ધ્રુવ।।

જોતિરૂપ જગધામ જગતગુરુ જગતપિતા જગદીશ ।

યોગયજ્ઞ જય તપ વ્રત દુર્લભ સો ગૃહ ગોકુલ ઈશ ।।૧।।

એક એક રોમ કૂપ વિરાટ સમ અનંત કોટિ બ્રહ્માંડ ।

લિયે ઉછંગ વાહિ માત યશોદા અપને નિજ ભુજદંડ ।।૨।।

જાકે ઉદર લોક ત્રય જલ થલ પંચ તત્ત્વ ચહું ખાન ।

બાલક હોઈ ઝૂલત વ્રજ પલના જસુમતિ ભવન નિધાન ।।૩।।

અનુદિન સ્ત્રવત સુધારસ પંચમ ચિંતામનિ સી ધેન ।

સો તજિ જસુમતિ કો પય પીવત ભક્તનકો સુખ દેન ।।૪।।

કરન હરન પ્રભુ દાતા ભુક્તા વિશ્વંભર જગ જાની ।

તાહિ લગાય માખનકી ચોરી બાંધ્યો હૈ નંદરાની ।।૫।।

રવિ શશિ કોટિ કલા સમ લોચન ત્રિવિધ તિમિર મિટિ જાત ।

અંજન દેત હેત સુતકે ચખ લે કર કાજર માત ।।૬।।

કમલાનાયક વૈકુંઠદાયક દુઃખ સુખ જાકે હાથ ।

કાંધે કામર લકુટ નગ્ન પદ વન બછરનકે સાથ ।।૭।।

વેદ વેદાંત ઉપનિષદ ષટરસ અરપત ભુક્તત નાહિ ।

ગોપ ગ્વાલનકી મંડલી મોહન હંસી હંસી જૂઠન ખાહિ ।।૮।।

ક્ષિતિ નાપી ત્રયપદ કરુનામય બલિ છલિ દિયો પાતાર ।

દેહરી ઉલંધ સકત નહીં સો પ્રભુ ખેલત નંદકુમાર ।।૯।।

બકી બકાસુર શકટ તૃણાવર્ત અઘ ધેનુક વૃષભાસ ।

કંસ કેશીકો યહ ગતિ દીની રાખે ચરન નિવાસ ।।૧૦।।

ભક્તવત્સલ પ્રભુ પતિત ઉધ્ધારન રહે સકલ ભરપૂર ।

મારગ રોકિ પર્યો હરિદ્વારે પતિત સિરોમનિ સૂર ।।૧૧।।

ભાવાર્થઃ

આ પદમાં સૂરદાસજીએ એવું વર્ણન કર્યું છે કે જેનાથી માહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સ્નેહ પ્રભુમાં સિદ્ધ થાય.

બ્રહ્માદિ દેવો કહે છે કે – આ વ્રજવાસીઓનાં કેવાં પૂર્વ પુણ્ય પ્રગટ્યાં કે સાક્ષાત્ પરમાત્મા એમને માટે માનવ રૂપે ભૂતલ પર પ્રગટ થયા! (૧)

તેજોમય, સર્વવ્યાપક, સર્વના શિરોમણિ, જગતના સર્જનહાર જગદીશ કે જે યોગ, યજ્ઞ, જપ, તપ કે વ્રતો વગેરે કરવાથી પણ મળતા નથી તે ગોકુલમાં ઘેર ઘેર પધારે છે! (૨)

જેના સ્વરૂપમાં ત્રણે લોક સમાયેલા છે, જળસ્થળની તમામ પંચતત્વ સૃષ્ટિ સમાયેલી છે, તે યશોદાજીના ઘરમાં બાળક બનીને પારણે ઝૂલી રહ્યા છે! (૩)

જે વિરાટ પ્રભુનું એકેક રૂવાટું કૂવા જેવું મહાન છે, જે વિરાટમાં અનંત કોટિ બ્રહ્માંડો સમાએલાં છે, તેને યશોદા મૈયા ખોળામાં લઈને, બાથ ભરીને ભેટી રહ્યાં છે! (૪)

સૂર્ય, ચંદ્ર, તો જેનાં બે નયનો છે, એવા તેજસ્વી પ્રભુ, જેના વડે વિશ્વનો ત્રિવિધ અંધકાર દૂર થઈ જાય, તેની આંખોમાં માતા હેત કરીને અંજન આંજી રહ્યાં છે! (૫)

ત્રણ પગલામાં જેણે ત્રણ લોકને માપી લીધા, રાજા બલિ ઉપર કૃપા કરવા, છળ કરીને એને પાતાળમાં મોકલ્યો, એ પ્રભુ અહીં નંદરાયજીના આંગણામાં ઉમરો પણ ઓળંગી શકતા નથી; ઘુંટણિયાં તાણી રહ્યા છે! (૬)

ચિંતામણી જેમ સુવર્ણ આપે તેમ, કામધેનુ જેને માટે નિત્ય અમૃતરસ સ્રવે છે (દૂધને બદલે અમૃત) એવા પ્રભુ, એ છોડીને અહીં યશોદાજીનું પયપાન કરી રહ્યા છે. કેમકે ભક્ત મનોરથ પૂરવા પ્રગટ્યા છે! (૭)

વેદ વેદાન્ત વેધ એવા પુરુષોત્તમ, જે ખટરસ વ્યંજન આપવા છતાં લે નહિ તે, અહીં વ્રજમાં છાકલીલા કરતાં, ગ્વાલબાલોનું જૂઠન હસી હસીને આરોગે છે! (૮)

ભક્તોને વૈકુંઠમાં લઈ જનાર, લક્ષ્મીપતિ, કે જે જીવમાત્રના સુખદુઃખના સાથી છે, તે અહીં કાંધે કાળી કામળી ઓઢીને, હાથમાં લાલ લાકડી લઈને, વનમાં વાછરડાં સાથે ખેલી રહ્યાં છે! (૯)

જે કર્તા-હર્તા છે, જે દાતા અને ભોક્તા છે, વિશ્વનું ભરણ પોષણ કરનાર તરીકે જગત જેને જાણે છે, તે પ્રભુને માખણની ચોરી લગાવીને નંદરાણી બાંધી રહ્યા છે! (૧૦)

પૂતના, બકાસુર, શકટાસુર, તૃણાવર્ત, અઘાસુર, ધેનુકાસુર, વૃષભાસુર, કેશી અને કંસ જેવાને મારીને જેણે મુક્તિ આપી, એવા પતિત-ઉદ્ધારક પ્રભુ, અહીં ભક્તો પ્રત્યે ભરપુર પ્રેમ દર્શાવી રહ્યા છે!

શ્રીસૂર કહે છે કે મારા પ્રભુ આવા સમર્થ છતાં ભક્ત વત્સલ હોવાથી હું તો એમનું દ્વાર રોકીને પડ્યો છું. મારા જેવા પતિત શિરોમણિનો પણ એ ઉદ્ધાર કરવાના જ છે! (૧૧-૧૨)

શબ્દાર્થઃ

વિરંચિ=બ્રહ્મા

કૂપ=કૂવો

ઉચ્છંગ=ગોદ, ખોળો

ત્રિવિધ તિમિર=ત્રણ પ્રકારનો અંધકાર (આધિભૌતિક વગેરે)

ચખ=ચક્ષુ, આંખ

ક્ષિતિ મિતિ=પૃથ્વી માપીને

ત્રિપદ=ત્રણ પગલાં

દેહરી=ઉમરો

અનુદિન=નિત્ય

ખટરસ=ભોજનના છ સ્વાદ (ગળપણ વગેરે)

ભુગતે નહિ=આરોગતા નથી

કમલા=લક્ષ્મી

શ્રાવણી પર્વ (૭)

Jiji5

આજે શ્રાવણ વદ ચોથ. પ. પૂ. ગો. ૧૦૮ ઇન્દિરાબેટીજી મહોદયા – પૂ. શ્રી જીજીનો મગંલ જન્મદિવસ.

આપશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ તેમજ આપશ્રીના શ્રીચરણોમાં સદૈન્ય દંડવત્પ્રણામ સાથે અનેકાનેક શુભકામનાઓ પાઠવતાં ધન્યતા અનુભવીએ છીએ.

આ મંગલ જન્મદિવસના ઉપલક્ષમાં શ્રાવણી પર્વ અંતર્ગત આપણે આપશ્રી રચિત કેટલાંક સુંદર કાવ્યો માણ્યાં. આ ભક્તિસભર રચનાઓ આપશ્રીના વૈવિધ્યસભર વ્યક્તિત્વનું મહત્વનું પાસું છે. આપનાં અનેક કાવ્યો ‘સાંવરિયા શેઠની શેઠાણી’, ‘મોગરાનો શ્વાસ’, ’ગાવલડી મારે બનવું છે’ જેવાં પુસ્તકોમાં ગ્રંથસ્થ થયા છે તેમજ કેસેટ-સીડી દ્વારા પણ પ્રકાશિત થયાં છે.

આ કાવ્યો આપશ્રીના ભક્તહૃદયની ભાવુકતા, કવિહૃદયની કોમળતા અને મધુરતા તથા વિદ્વત્તાના પ્રતીક સમાં છે. આજે જોઈએ આવું જ એક કાવ્ય.

શ્રીજી દેખાય

રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા

———————————————————————————–

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-7.mp3|titles=shravani parva-7]

જ્યાં જોઉં ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…

ગોપીના ઘટ અને યમુનાના પટમાં

રાધાના મુખ પર ચોટેંલી લટમાં

જ્યાં જોઉં ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…૧

રાધાની ચૂંદડી ને રાધાની બંગડીમાં

રાધાની બિન્દી ને મ્હેન્દીનાં રંગમાં

જ્યાં જોઉં ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…૨

હોળીમાં લાલ લાલ ગુલાલભરી ઝોળીમાં

રાધાની ચંદનીયા રંગભરી ચોળીમાં

જ્યાં જોઉં ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…૩

ગોવર્ધન કંદરા ને ગહ્વર તે વનમાં

રાધાના રસભર્યા ભીના ભીના મનમાં

જ્યાં જોઉં ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…૪

કોયલના ટહૂકા ને ગોરીના મટકામાં

રાધાનાં માન-તાન લ્હેકા ને ઠમકામાં

જ્યાં જોઉ ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…૫

‘‘શ્રાવણી’’ કહે છે મને કણકણમાં પ્રાણમાં

રાધાનાં માનને ગુમાનભર્યાં વાનમાં

જ્યાં જોઉં ત્યાં મુજને શ્રીજી દેખાય

એના વરણાગી રૂપ મારી આંખે અંજાય…૬

શ્રાવણી પર્વ (૬)

મુજને મેળાવ

રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા

———————————————————————————————-

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-6.mp3|titles=shravani parva-6]

હો… યમુના તારા માધવશું… મુજને મેળાવ

મારા મનડાનો મોર

મારા આંગણે નચાવ… હો… હે યમુના તારા.

મારા કેશમાં મોગરાનો… ગજરો ગૂંથાવ

મારી સેંથીમાં સિન્દુર

એના હાથનું પુરાવ… મારા મનડાનો મોર.

મને કાળા તે રંગની…. કંચૂકી પહેરાવ

મારા કંઠે કઠુલો

એના રંગનો જડાવ…. મારા મનડાનો મોર.

એનું મલપન્તું મુખ… મારી બિન્દીએ ચિતરાવ

એના નામની છાપેલી

મને ઓઢણી ઓઢાવ…. મારા મનડાનો મોર.

મારા મધમીઠા ગાલ પર… મરવટ મંડાવ

મારી નાસિકામાં નથણી

એના નામની પહેરાવ…. મારા મનડાનો મોર.

એના હાથમાં હાથ મારો… તું જ પધરાવ

તારા શ્રીજીની સંગે મને

તું જ પરણાવ…. મારા મનડાનો મોર.

તું તો ‘‘શ્રાવણી’’ ને કેસરીયા… જળથી ભીંજાવ

મને વનરાવન કુંજના

કૃષ્ણસું મિલાવ…. મારા મનડાનો મોર.

શ્રાવણી પર્વ (૫)

રાસ રમાડે સાંવરિયો

રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા

—————————————————————————————-

રસમાં ઘોળી, રંગમાં રોળી;

રાસ રમાડે…. સાંવરિયો. (૧)

શ્રીજી મારો શ્યામ દુલારો,

મધુકર કાળો…. ભમ્મરીયો. (૨)

વેણુ વાગી, રસ અનુરાગી,

મનમાં મલકે…. ચાંદલિયો. (૩)

શ્રીજી મારો શ્યામ દુલારો,

નાચે ઘેઘૂર…. ઘમ્મરીયો. (૪)

નાકે વાળી, આપે તાળી,

હડપચીએ છે…. હીરલિયો. (૫)

શ્રીજી મારો શ્યામ દુલારો,

નયણે મટકે…. ચમ્મરીયો. (૬)

વ્રજની ગોપી, રસમાં ઓપી,

રજની ઊડતી…. ડમ્મરિયો. (૭)

શ્રીજી પ્યારો શ્યામ દુલારો,

‘શ્રાવણી’ને ઉર…. મનહરિયો. (૮)

શ્રાવણી પર્વ (૪)

રાધા માધવકી બન જાયે

રચનાઃ પ.પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા

——————————————————————-

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-4.mp3|titles=shravani parva-4]

મીત વહી જો બીના બુલાયે,

મનમેં આયે ફિર નહીં જાયે.

ગીત વહી જો અનજાનેમેં,

બાર બાર મુખસે દોહરાયે.

હીત વહી જો અપનેપનસે,

સત્ય જીવનકા પથ દિખલાયે.

પ્રીત વહી જો પાગલપન દે,

પ્રાણોં મેં પીડા ભરજાયે.

રીત યહી હૈ જીનેકી ઈક,

જીંદગી હી બંદગી બન જાયે.

જીત યહી હૈ શ્રાવણી તૂ ભી,

રાધા માધવકી બન જાયે.

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી